________________
Shri Ashtapad Maha Tirth
દાભના સંથારા પર સૂતેલી અને શાસનદેવીને તુષ્ટ કરતી વીરમતીના આ પ્રમાણે કેટલાક દિવસો વ્યતીત થઈ ગયા. અષ્ટમી તથા પૂર્ણિમાના દિવસે રાત્રિજાગરણ કરતી તેણી મનોહર ગીતો દ્વારા ત્રણે કાળ આરતિ ઊતારવાપૂર્વક દિવસો પસાર કરવા લાગી. વીરમતી હજારો કન્યાઓને વસ્ત્રો તથા અલંકારો તેમજ મહર્ષિઓને ભક્તપાન આપતી હતી. જેનો કલેશ નાશ પામ્યો છે તેવી અને અખંડિત બુદ્ધિવાળી તથા પ્રયત્નશીલ તેણીએ પચ્ચીશ ઉપવાસ કર્યો.
વીરમતીની તપશ્ચર્યાથી તુષ્ટ બનેલી શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને નિર્મળ વાણીવડે કહ્યું કે- “હે પુત્રી ! તેં જે આ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તે ખરેખર કમળના પાંદડાંથી લોઢાનો ભાર ઉપાડવા જેવું કાર્ય છે. તે કૃશાંગી ! જેમ ચંદન વૃક્ષની મંજરીની સુવાસથી તેને જેમ નાગણી વશ બની જાય તેમ આ તારી તપશ્ચર્યાથી હું તારે આધીન બની છું. હે કમળ જેવા નેત્રવાળી વીરમતી ! હું શીધ્ર તારી ઇચ્છા પૂર્ણ કરું છું તો હે કૃશોદરિ ! તૈયાર થા, સમય વ્યતીત કરવાની જરૂર નથી.”
બાદ તૈયાર થયેલ વીરમતીની પ્રશંસા કરતી શાસનદવી તેને પોતાના વિમાનમાં બેસાડીને અષ્ટાપદ પર્વત પર લઈ ગઈ. આઠ યોજન ઊંચા અને આઠે દિશાઓમાં પ્રસિદ્ધિ પામેલ તે અષ્ટાપદ પર્વતને તેણીએ સાષ્ટાંગ દંડવત્ પ્રમાણ કર્યા. “ ખરેખર, તે ભરત મહારાજા સામાન્ય મનુષ્ય જણાતા નથી, કારણ કે જેમનો દિવ્ય યશ હજી સુધી વિશ્વને વિષે વર્તી રહ્યો છે.” આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર કરતી અને વિશાળ નેત્રોવાળી તેણીએ શાસનદેવીની સહાયથી તે મનોહર જિનમંદિરમાં પ્રવેશ કર્યો. બે, દશ, આઠ અને ચારએ પ્રમાણે ચારે દિશામાં સ્થંભ પર રહેલા ચોવીશ તીર્થકર ભગવંતોને ભક્તિ પરાયણ તેણીએ વંદન કર્યું. તે પ્રતિમાઓની પુષ્પો વડે વિધિપૂર્વક દરેક પ્રતિમાઓના લલાટપ્રદેશને વિષે વિવિધ પ્રકારનાં રત્નજડિત તિલકો સ્થાપિત કર્યા. પછી મુકતાશક્તિ મુદ્રા દ્વારા હસ્ત જોડીને, બંને જાનુને ભૂમિ પર સ્થાપીને તેણીએ મોહ રહિત, અત્યંત ગંભીરાર્થવાળી સ્તુતિ કરી કે- “ઉત્તમ જ્ઞાનીઓને, ઉત્તમોત્તમ જ્ઞાનવંતોને અને તે કરતાં પણ શ્રેષ્ઠ અને સર્વજ્ઞ એવા તીર્થકર ભગવંતોને નમસ્કાર થાઓ !”
એક મહિના સુધી અષ્ટાપદ પર્વત પર પરમાત્માને નમસ્કાર કરીને, સ્તુતિ કરીને પૂર્ણ મનોહર મંગળવાળી અને તુષ્ટ બનેલ તેણીએ પણ પ્રાતઃકાળે પોતાના સ્વામી મમ્મણ રાજવીને અષ્ટાપદની યાત્રા સંબંધી સમસ્ત વૃત્તાંત જણાવ્યો. પછી સમસ્ત જનતાને પ્રિય એવો દેવયાત્રા સંબંધીનો સુંદર વાર્ષિક મહોત્સવ થયો અને હંમેશાં મનોહર સંગીત કરતાં વિધવિધ પ્રકારનાં વાજિંત્રો ચારે દિશામાં વાગવા લાગ્યા. ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા, પુષ્કળ દાન આપનાર અને પ્રમાદ રહિત તે બંને દંપતીએ પોતાના આયુષ્યનો શેષ ભાગ પુણ્ય કાર્યોમાં વ્યતીત કર્યો.
પછી ત્રીજા ભવમાં પોતનપુર નામના નગરમાં મમ્મણ અને વીરમતીને જીવ ધન્ય અને ધસરી તરીકે જન્મ્યા. ભદ્રિક અને પશઓની સંપત્તિવાળા (ગોવાળ) તે બંને સ્વભાવથી જ પરસ્પર અત્યંત પ્રેમ ધરાવતા હતા. તે બંનેએ કોઈને પણ વાણીથી દુભવ્યા ન હતા, કંઈ પણ કોઈનું હરી લીધું ન હતું અને કદી પણ શિયલનો ભંગ કર્યો ન હતો. તેઓ પ્રતિદિન પોતાની શક્તિ પ્રમાણે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી આપતા અને થાકી ગયેલાઓનો શ્રમ (થાક) દૂર કરતા. પછી કોઈ એક દિવસે વર્ષાઋતુના સમયમાં વૃષ્ટિ થવાથી ધન્ય પોતાના પશુઓની સંભાળ લેવાને માટે બહારના પ્રદેશમાં ગયો. ત્યાં આગળ વર્ણ અને ગાત્ર (અવયવ) થી પાડેલા નામવાળા પોતાના ગાય તથા ભેંસ વિગેરે પશુઓને દૂરથી બોલાવીને ઉચિત લાલન-પાલના કરી પંપાળ્યા. તે સમયે તે પ્રદેશમાં શરમને કારણે અંગ પર એક માત્ર વસ્ત્ર ધારણ કરતાં કોઈ એક મુનિવરને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેલા જોયા. - 301 2
- Rani Virmati