________________
(૧૩.૨) અમર
૨૯૭
દાદાશ્રી : પ્રાણ તો શ્વાસોશ્વાસ લઈએ છીએ એને પ્રાણ કહેવાય. શ્વાસ લઈએ એને પ્રાણ કહેવાય અને છોડીએ એને અપ્રાણ કહેવાય, અપાન કહેવાય. એટલે શ્વાસોશ્વાસ એ કંઈ આત્મા નથી, એ પુદ્ગલ છે અને આત્મા ચેતન છે. બે જુદી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : તો એમાં એમ કહે છે કે પ્રાણ જતો રહ્યો એટલે એ આત્માના સંદર્ભમાં કહેવામાં આવતું હોય છે ?
દાદાશ્રી : હા, એ પ્રાણના આધારે દેહ અને આત્માનો સંબંધ છે. વચ્ચે પ્રાણનો આધાર છે. પ્રાણ ખસી જાય એટલે બે જુદા પડી જાય. પ્રાણની દોરીથી આયુષ્ય બંધાયું છે.
પ્રશ્નકર્તા એમ કહે છે કે આ પ્રાણ જે છે તે આત્મા અને દેહ એને જોડનારી કડી છે ?
દાદાશ્રી : એને આધારે જ આત્મા રહ્યો છે આ દેહમાં. આ જીવાત્મા બધા પ્રાણના આધારે જીવે છે દેહાધ્યાસવાળા અને આત્મજ્ઞાનીઓ આત્માના સ્વભાવથી જીવે છે. એટલે જે પ્રાણના આધારે જીવતા નથી, એ કાયમ જીવતા જ રહે. પ્રાણના આધારે તો દેહ જીવે છે. દેહ-મનબુદ્ધિ-અહંકાર ને આ દેહાધ્યાસ બધો પ્રાણના આધારે જીવે છે અને તમે તમારા સ્વભાવથી જીવી રહ્યા છો. આત્માનો સ્વભાવ જ અમર છે, અવિનાશી છે.
અને આ પ્રાણ છે તે જ્યારે દેહ છૂટો પડવાનો થાય, આત્મા જુદો પડવાનો થાયને, તરત હં હં કરીને નીકળી જાય જલદી. એટલે પછી (આત્મા) છૂટો થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ આ પ્રાણ બંધ થાય એની જોડે જ આત્મા છૂટો પડી જાય છે ?
દાદાશ્રી: આ પ્રાણ બંધ થયો એટલે છૂટો જ. પ્રાણ બંધ થયો એટલે (દેહરૂપી) ગાડીઓ-બાડીઓ બધું બંધ.
પ્રશ્નકર્તા: આ પ્રાણનો આધાર તૂટી કેવી રીતે જતો હશે ?