________________
૨૨ સામાયિક ભાવ
સવાર, બપોર અને સાંજનો સંધ્યાકાળ. એ વખતે ગાયત્રી મંત્રનો પાઠ કરવાનો છે અને ઈશ્વરને યાદ કરીને પ્રાર્થના કરવાની છે. એ ત્રણ સંધ્યા આપણે પણ કરી શકીએ કે નહીં? કે એ શું માત્ર બ્રાહ્મણોની જ ક્રિયા છે? ખ્રિસ્તી ધર્મ પાળતો કોઈ પણ માણસ દેવળ (church) માં જઈને પ્રાર્થના કરી શકે.
પ્રાર્થના કરવા માટે મસ્જિદ, મંદિર, દેવળ એ બધું જરૂરી હોય કે? કે એના વગર પણ પ્રાર્થના થઈ શકે? પ્રાર્થના ગમે ત્યાં, ગમે ત્યારે ન થઈ શકે?
નામસ્મરણ, ભક્તિ, પ્રાર્થના, પૂજા, બંદગી – આ બધું જુદા જુદા સંપ્રદાયોમાં અલગ અલગ શબ્દોથી વર્ણવેલું હોય. પણ ભાવ તો બધામાં પરમતત્ત્વને સમર્પણનો જ હોય. આપણે પણ ભક્તિ, પ્રાર્થના, કીર્તન, સ્તવન, પૂજા, આરતી, બંદગી, બધું જ કરી શકીએ.
તો, ભાવસામાયિક એ શું માત્ર જૈનોની જ ક્રિયા છે?
કોઈ પણ વ્યક્તિ જેમ પૂજા, પ્રાર્થના કરી શકે તેમ સામાયિક એટલે સમતાભાવ પણ રાખી શકે! એને કોઈ ધર્મનું કે કોઈ સંપ્રદાયનું લેબલ (label) લગાડવાની જરૂર નથી.
તમારૂં સામાયિક છ કોટીનું, અમારૂં આઠ કોટીનું, સાધુનું નવ કોટીનું એ બધા ભેદ સંપ્રદાય કે ગચ્છવાળા પાડે. આપણને એની સાથે કોઈ જ નિસ્બત નથી. આપણને તો સમતાનો લાભ થાય અને સમતાનો ભાવ આવે અને ટકે તો જ સાચું સામાયિક થયું એમ કહેવાય. આપણે આ કરતાં શીખવાનું.
આપણને હિંદુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ – એ બધાં નામોથી શું લાગે વળગે? તમે દિગંબર છો કે શ્વેતાંબર છો કે સ્થાનકવાસી છો કે તેરાપંથી છો એનાથી આપણને શું લાગે વળગે?