________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ અર્થ:- ઉપાદાન પોતાની શક્તિ છે. તે જીવનો મૂળસ્વભાવ છેઃ અને પરસયોગ તે નિમિત્ત છે. તેમનો સંબંધ અનાદિથી બની રહ્યો છે. ૩.
અહીં જીવનો મૂળસ્વભાવ તે ઉપાદાન છે એમ કહ્યું છે, કેમકે અહીં જીવની મુક્તિની જ વાત લેવી છે તેથી જીવની મુક્તિમાં ઉપાદાન શું અને નિમિત્ત શું તે બતાવ્યું છે. પરમાણુની વાત લીધી નથી. જીવનો મૂળસ્વભાવ તે ઉપાદાન તરીકે લીધો છે. અહીં બધા દ્રવ્યોની સામાન્ય વાત નથી પણ ખાસ જીવ દ્રવ્યની મુક્તિની જ વાત છે.
જીવની પૂર્ણ શક્તિ તે ઉપાદાન છે. તેની ઓળખાણ કરે તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ઉપાદાનકારણ પ્રગટે અને મુક્તિ થાય. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ કરવા તે આત્માનો મૂળસ્વભાવ છે. સ્વભાવ કહો, શક્તિ કહો, ઉપાદાન કહો તે બધાનો અર્થ એક જ છે.
જીવનો મૂળસ્વભાવ જ મુક્તિ કરવાનો છે, તે અંતરમાં છે અંતરની શક્તિમાંથી મુક્તિ પ્રગટે છે પરંતુ કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર-વાણી કે મનુષ્ય શરીર વગેરે પરની સહાયથી જીવની મુક્તિ થતી નથી.
પ્રશ્ન- સાચા ગુરુ હોય તો ભૂલેલાને રસ્તો તો બતાવે ને! એટલી તો મદદ સદ્ગુરુએ કરીને?
ઉત્તર:- જે ભૂલ્યો છે તે પૂછીને નક્કી કરે છે, તે કોના જ્ઞાને નક્કી કરે છે? ભૂલેલાના જ્ઞાન કે ગુરુના જ્ઞાને? ગુરુ કાંઈ સામાના જ્ઞાનમાં નક્કી કરાવી દેતા નથી પણ સામો જીવ પોતે પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે, માટે જે સમજે છે તે પોતાની જા ઉપાદાનશક્તિથી સમજે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com