________________
૮૨
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર
ઉદયનો આવેગ ચાલુ છે તેથી ઉપયોગની શૂન્યતા, વિધિની શૂન્યતા, ક્યારેક વૈષયિક સુખોની પણ સાથે સાથે તમન્ના ઈત્યાદિ દોષો આવી જાય છે. માટે પ્રથમના ચાર સ્થૂલનયોની અપેક્ષાએ આ સ્થિરતા કહેવાય છે. પણ આ સ્થિરતા તે મોહના દોષોવાળી હોવાથી સૂક્ષ્મનયોની અપેક્ષાએ સ્થિરતા કહેવાતી નથી.
આ ચાર નયોમાં પણ જેમ જેમ દૂર દૂર કારણ હોય તે નૈગમ નય, તેનાથી નિકટપણે સાધ્યનું કારણ બને તે સંગ્રહનય, તેનાથી પણ નિકટપણે સાધ્યનું કારણ બને તે વ્યવહાર, તેનાથી પણ વધારે નિકટપણે સાધ્યનું કારણ બને તે ઋજુસૂત્ર નય. આમ નયો જાણવા. આ ચારે નયોમાં ઉપયોગની શૂન્યતા કે વિધિની શૂન્યતા હોઈ શકે છે તેથી દ્રવ્યાશ્રવોનો ત્યાગ કહેલ છે. પણ ભાવઆશ્રવોનો ત્યાગ કહેલ નથી. ભાવઆશ્રવોનો ત્યાગ તો પાછલા ત્રણ નયોમાં આવશે. જેમકે હાલ વર્તમાનકાલે ઉપયોગ વિના અને વિધિની અપેક્ષા વિના કરાતી જૈનધર્મના અનુષ્ઠાનોની ક્રિયામાં કાયોત્સર્ગાદિમાં થતી સ્થિરતા. (અહીં ઉપયોગ અને વિધિપૂર્વક કરતા મહાત્માઓની ક્રિયાને બાદ કરવી.) વિશેષે કરીને ઓઘે ઓઘે જૈનધર્મના અનુષ્ઠાનોની ક્રિયા કરતા સામાન્ય જીવોમાં રહેલી જે સ્થિરતા તે અહીં જાણવી.
(૧) અપુનર્બન્ધક આત્મામાં મિથ્યાત્વ કંઈક અંશે મંદ થયેલ હોવાથી ઓથે સાધ્યની દૃષ્ટિ આવી છે તેથી ધર્માનુષ્ઠાનનો ઉપચાર કરાય છે માટે તે નૈગમનયથી સ્થિરતા જાણવી. (૨) અવિરતસમ્યગ્દષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય ચાલ્યો ગયો છે. પણ ચારિત્રમોહનીયનું જોર છે. માટે અપુનર્બન્ધક કરતાં આ જીવના અનુષ્ઠાનોમાં મુક્તિનું કંઈક નિકટ કારણ છે
એમ સમજીને સંગ્રહનયથી સ્થિરતા જાણવી.
(૩) દેશવિરતિધર આત્મામાં કાયોત્સર્ગાદિની સ્થિરતામાં નિકટતરપણે મુક્તિની કારણતા છે માટે વ્યવહારનયથી સ્થિરતા જાણવી.
(૪) સર્વવિરતિધર પ્રમત્તમુનિની કાયોત્સર્ગાદિ કાલે જે સ્થિરતા છે તે દેશવિરતિધર કરતાં વધારે નિકટતમપણે મુક્તિનું કારણ બને તેવી સ્થિરતા છે માટે ઋજુસૂત્રનયથી સ્થિરતા જાણવી.
આ ચારેમાં સાધ્યની અભિલાષા પણ છે, યથાશક્તિ ઉદ્યમ પણ છે. માત્ર ઉપયોગવિધિ-આશયશુદ્ધિ વગેરેની કચાસ છે. તેથી પાછલા નિશ્ચયદૃષ્ટિવાળા શુદ્ધ નયો ન લેતાં આગલા સ્થૂલનયો અહીં લગાડેલા છે અને સ્થૂલદૅષ્ટિએ આવું કહેવાય પણ છે. આ જીવો આવી પણ ધર્મક્રિયા કરે છે તો કરતાં કરતાં ક્યારેક શુદ્ધ ક્રિયા પણ કરશે એટલે શુદ્ધક્રિયાના કારણભૂત આ ક્રિયા છે એમ સમજીને પ્રથમના ચાર નય કહેલ છે.