________________
પ્રસ્તાવના
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને વૈશાખ સુદ-૧૦ ના દિવસે ઋજુવાલિકા નદીના કાંઠે દિવસનો કેટલોક ભાગ પસાર થયા બાદ લોકાલોક પ્રકાશક એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થયું. તે જ સમયે દેવ-દાનવોએ સમવસરણ રચ્યું. સર્વવિરતિ-દેશવિરતિ પરિણામ પામે એવા જીવો ન હોવાથી તે દિવસે તીર્થની સ્થાપના ન થઈ. બીજા દિવસે વૈશાખ સુદ-૧૧ ના દિવસે ઋજુવાલિકા નદીથી નિકટવર્તી એવા “મહસેન” નામના વનમાં દેવોએ ફરીથી સમવસરણ રચ્યું. દેવ-દાનવ અને માનવની ઘણી મોટી મેદની પરમાત્માની વાણી સાંભળવા આવી. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પણ ઘનઘાતી કર્મોને ખપાવીને વીતરાગ સર્વજ્ઞ-સર્વદર્શી બન્યા છતા ૩૫ ગુણયુક્ત અમૃતતુલ્ય વાણીથી ધર્મોપદેશ આપવા લાગ્યા.
ત્યાંથી થોડેક દૂર સોમિલાર્ય નામના એક ધનવાન બ્રાહ્મણે મોટો યજ્ઞ આરંભેલો. તેની યશવાટિકામાં ઈન્દ્રભૂતિ આદિ ૧૧ મોટા મોટા પંડિત બ્રાહ્મણો આવેલા. તેમના ઘણા ઘણા શિષ્યો હતા તથા તે યશવાટિકામાં યજ્ઞ જોવા માટે ઘણા ઘણા લોકો આવેલા. મોટો માનવમહેરામણ ઉભરાયેલો. ભગવાન મહાવીરપ્રભુના સમવસરણમાં આવતા-જતા દેવો અને માનવોને જોઈ આ ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણ પંડિતો પોતાના યજ્ઞમંડપમાં યજ્ઞના પ્રભાવે દેવો-માનવો આવે છે એમ સમજીને ઘણા હર્ષિત થયા. પરંતુ યજ્ઞભૂમિ છોડીને આગળ જતા-આવતા દેવ-માનવોને જોઈને તે ઘણા ખિન્ન થયા. લોકમુખે જાણ્યું કે મહસેન વનમાં કોઈક સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા પધાર્યા છે. આ સાંભળીને ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણ પંડિતો અહંકારપૂર્વક ઘણા જ ક્રોધાવેશમાં આવ્યા. અમે સર્વજ્ઞ સર્વદર્શી હોતે છતે આ વળી બનાવટી સર્વજ્ઞ સર્વદર્શ કોણ આવ્યો છે ?
ઈન્દ્રભૂતિ બહુ જ આવેશપૂર્વક બોલવા લાગ્યા કે મેં સમસ્ત વાદીઓને જીત્યા છે પણ આ કોઈ વાદી જગતના કોઈક ખુણે ખાંચરે રહી ગયો હશે. હમણાં જ જાઉં છું અને તેના અહંકારને ઓગાળી નાખું છું. અગ્નિભૂતિએ કહ્યું કે આવા મચ્છરતુલ્ય નાના વાદીને જીતવા માટે તમારે જવાનું ન હોય. અમે નાના ભાઈઓ જ જઈએ અને તુરત જ જીતીને આવી જઈએ. ત્યારે ઈન્દ્રભૂતિએ કહ્યું કે તમે તો નહીં, પરંતુ મારો નાનો એક શિષ્ય પણ આ ધૂતારા સર્વજ્ઞને જીતી શકે તેમ છે. પરંતુ તેમ કરીએ તો “મેં સર્વ વાદીને જીત્યા ન કહેવાય” માટે મારા યશને નિર્મળ રાખવા માટે મારે જ જવું છે. એમ કહીને “સરસ્વતી કંઠાભરણ” આદિ અનેક બિરૂદો બોલતા-ગાતા એવા મોટા શિષ્યગણથી