________________
આપણી વાત તો એટલી છે કે શ્રાવક સાધુ પાસે સાધુની સામાચારી સાંભળવા માટે જાય. બીજી આડી-અવળી વાત ન કરે, સાધુભગવંત ક્યાંના છે, કઈ નાતના છે, આ બધી પંચાત ન કરવી. આ તો આવીને પૂછે કે ‘સાહેબ ! શું શાસનસમાચાર છે ?' આપણે કહેવું પડે કે શાસનસમાચાર એક જ છે કે – “શાસન મળ્યું છે માટે દીક્ષા લેવી છે.' ભગવાનનું શાસન જયવંતું છે તે આપણને સુખી બનાવે છે માટે નહિ, સંસાર છોડાવે છે માટે શાસન જયવંતું છે. શ્રાવકને જે મળ્યું હોય તેમાં સંતોષની લાગણી ન હોય. સાધુ થઇ શકાય તો સારી વાત છે, પણ સાધુ થઇ ન શકાય તોપણ સાધુપણું ન મળ્યાનું દુ:ખ ધરતા થઇએ તો ઘણી નિર્જરા થાય એવું છે. આજે વિકાસ રૂંધાઇ ગયો તેનું કારણ જ એ છે કે જે મળ્યું છે તેમાં સંતોષ છે. આ શ્રી ઉત્તરાધ્યયન-સૂત્ર શ્રી મહાવીરપરમાત્માએ પોતાના શ્રીમુખે ભાખેલું છે. તેનાં પદો ભગવાને સાક્ષાત્ કહેલાં હોવાથી પવિત્ર છે. આપણે દીક્ષા ન લઇ શકીએ – એ બને, પણ દીક્ષાનું અથાણું પણ ન આવે એ ન ચાલે.
અહીં જણાવે છે કે સાધુભગવંતો દ્રવ્ય અને ભાવ સંયોગોથી મુકાયેલા હોય છે. સ્વજનાદિના સંયોગનો અને સ્વજનાદિના મમત્વનો જે ત્યાગ કરે તે જ સાધુ બની શકે. જે માતાપિતાદિનો ત્યાગ કર્યો તે ગમે તેટલા તકલીફમાં, મુસીબતમાં મુકાય તોપણ સાધુને દુ:ખ ન થાય. સ્વજનોના દુ:ખે દુઃખી થાય તો સાધુનું સાધુપણું લજવાય. સાધુને ભાવકરુણા હોય. સ્વજનોની દ્રવ્યકરુણા મમત્વને સૂચવનારી હોવાથી તે સાધુને ન હોય. આ રીતે સાધુભગવંત સંયોગથી મુકાયેલા હોવાની સાથે અણગાર હોય છે. અગાર એટલે ઘર. સાધુને ઘર ન હોવાથી તેમને અણગાર કહ્યા છે. સાધુ બાહ્ય કે અત્યંતર સંયોગોથી મુકાયેલા હોય, છતાં તેમને રહેવા માટે વસતિ તો જોઇએ જ. આમ છતાં સાધુ પોતાનું ઘર બનાવતા નથી કે રાખતા નથી. આથી જ આપણા વડીલો કહેતા કે સાધુને ગામમાં ઘર ન હોય, બજારમાં પેઢી ન હોય કે સીમમાં ખેતર
ન હોય. આજે તો સાધુભગવંતો માટે વસતિ દુર્લભ બનતી ચાલી છે. તમારે સોસાયટીઓમાં રહેવું છે, પણ સાધુસાધ્વીને રહેવા માટે ઉપાશ્રય નથી રાખવો. જે છે તે ઉપાશ્રય પણ કાઢી નાંખવા છે. સાધુસાધ્વીના માટે ઉપાશ્રય કરવાની જરૂર નથી, પણ તમારા સંતાનોને, તમને આરાધના કરવા માટે ઉપાશ્રયની જરૂર છે. તમે એવી વ્યવસ્થા રાખી હોય તો સાધુસાધ્વી ઊતરી શકે અને તમે તેમ જ તમારો પરિવાર પણ સાધુનો સત્સંગ કરી શકે અને ધર્મના સંસ્કાર પામી શકે. તમારે ત્યાં ગાડીઓ મૂકવા માટે ગેરેજ છે અને સાધુ માટે જગ્યા નથી તો માનવું પડે ને કે ગાડી કરતાં સાધુની કિંમત તુચ્છ છે ! આ તો વાત એટલી જ છે કે વસતિ અત્યંત દુર્લભ હોવા છતાં પણ સાધુ પોતાનું ઘર બનાવે નહિ. આજે જે રીતે સાધુભગવંતો પોતાનાં સ્થાન બનાવવા માંડ્યા છે તે જોતાં આ ‘અણગાર' વિશેષણની કિંમત સમજાય એવી છે. પોતાનો ઉપાશ્રય બનાવવાના કારણે સાધુનું અણગારપણું રહેતું નથી.
‘અણગાર’ પછી ભિક્ષુ' વિશેષણ આપ્યું છે. વસતિમાં રહેનાર સાધુને પણ આહારની જરૂર તો પડવાની જ. એ વખતે નિર્દોષ આહાર હોય તો જ તે ગ્રહણ કરે અને તે પણ ભિક્ષા દ્વારા જ મેળવે. જાતે કોઇ વનસ્પતિ આદિને હણે નહિ, અનાજ રાંધે નહિ તેમ જ પોતે ખરીદે પણ નહિ. આ જ રીતે બીજા પાસે કરાવે પણ નહિ અને કરતાંને અનુમોદે પણ નહિ. આ રીતે હનન, પચન અને ક્રયણ આ ત્રણે દોષ કરણ, કરાવણ અને અનુમોદનથી ટાળીને નવકોટિથી શુદ્ધ આહાર જ ગ્રહણ કરે. તેવો આહાર ઘેર ઘેર ભિક્ષા લેવા દ્વારા જ મેળવી શકાય છે - તે જણાવવા માટે સાધુનું ભિક્ષુ (fક્ષાનો fમક્ષ: ) આ પ્રમાણે વિશેષણ આપ્યું છે. નિર્દોષ આહાર ન મળે તો પણ સાધુ જાતે રાંધવા, કાપવા કે ખરીદવા ન બેસે. આવું ઊંચું આ શાસનનું સાધુતત્ત્વ છે. હવે એવા સાધુનો ચાર કેવો હોય છે તે જણાવે છે. આજે તો સાધુભગવંતો જે રીતે ઉપાશ્રયો, ધામો વગેરે બનાવવાની પ્રવૃત્તિ કરે છે તે શાસ્ત્રાનુસારી નથી.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર