________________
શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના છે જ અને જીવ જ્યારે અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગ રૂપ થાય, ત્યારે નિશ્ચય ચારિત્રરૂપ શુદ્ધોપયોગથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે તે ભાવનાનું ફળ જે કર્મ ચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતના રૂપ પરિણમન થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતના રૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.
સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે - પૂર્વોક્ત રીતે સમસ્ત કર્મના ફળનો સન્યાસ કરવાથી હું, ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને એ સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે અર્થાત્ આત્મતત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયાવિભાવરૂપ ક્રિયા - તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી, પ્રવર્તતી નથી; એમ આત્મતત્વના ભોગવટામાં અચળ એવા મને આ કાળની આવલી કે જે પ્રવાહરૂપે અનંત છે તે, આત્મતત્વના ભોગવટામાં જ વહો. ઉપયોગની વૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.
પૂર્વે અજ્ઞાન ભાવથી કરેલા કર્મરૂપી વિષવૃક્ષનાં ફળને જે પુરૂષ તેનો સ્વામી થઈને ભોગવતો નથી અને પોતાના આત્મસ્વરૂપથી જ તૃપ્ત છે, તે પુરૂષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ, સ્વાધીન સુખમય દશાને
પામે છે.
આ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું. હવે અન્ય દ્રવ્યો એ અન્ય દ્રવ્યના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે.
શ્રુત જ્ઞાન નથી કારણ કે શ્રુત અચેતન છે, માટે જ્ઞાનને અને શ્રતને વ્યતિરેક અર્થાત્ ભિન્નતા છે. શબ્દ જ્ઞાન નથી કારણ કે
સમયસાર નો સાર