________________
૧૩૦
૧૨૯ સ્વર્ગીય વૈભવથી લથબથ રહેનારી નગરી. પુરાણા ખંડેરો વચ્ચે એકાદ શિલ્પબદ્ધ મંદિર જડી આવે તેમ આખો અતીતગહન અધ્યાય ઊઘડી આવશે, તે વખતે. રાજગૃહીની સમકાલીન અને પાટલીપુત્રની પૂર્વકાલીન નગરી કૌશાંબીનું ઉત્નનન થશે ત્યારે સૌથી વધુ અવશેષો જિનધર્મના મળશે તે નક્કી વાત છે. અને તેમ છતાં એ અવશેષો, અઢી હજાર વરસ જૂના હોવા છતાં, બહુ પુરાણા નથી લાગવાના, કેમ કે કૌશાંબી તો છેક શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનના સમયની નગરી છે. પ્રભુનાં ચાર કલ્યાણક અહીં ઉજવાયાં હતાં. પ્રભુનો લોકોત્તર મહાપ્રભાવ આ નગરીમાં કમળની જેમ જ મઘમઘતો રહ્યો હતો. એ સમયના અવશેષો મળવાના નથી. એ ખોટ રહેવાની જ. મહાકાળે રાજા-મહારાજાઓ જ નહીં, તીર્થકરોનાં સ્થાનોને ભીંસમાં લીધા છે. પ્રભુના પ્રભાવે ધરતી સાથે પ્રભુનાં નામ જોડાયેલાં છે. સ્મૃતિચિન કોઈ જ નથી. વિવિધતીર્થકલ્પ કહે છે કે અહીંનાં જિનાલયમાં રોજ એક સિંહ ભક્તિ કરવા આવતો. કોઈને ઉપદ્રવ કરતો નહોતો. દર્શનવંદન કરીને ચાલી જાય. એ પ્રાસાદના અવશેષો મળે તોય બસ છે. શ્રી ચંદનબાળાની પારણું કરાવતી મૂર્તિ હતી, અહીં. એક બાકુલાઉઘાન હતું. અડદનું ઉદ્યાન. પ્રભુનાં પારણાની સ્મૃતિરૂપે બીજું ઘણું હશે. આજે કેવળ ખેતરો છે. એમના ગર્ભમાં બધું ધરબાયેલું છે. પ્રતીક્ષા છે, ઉદ્ધારકની, આપણે ન જાગ્યા તો બૌદ્ધો આવી રહ્યા છે. એમનું મંદિર બંધાયું નથી. જમીન ખરીદાઈ ગઈ છે. એકવાર એમણે પ્રવેશ કર્યો પછી સરકાર બધું એમને ધરી દેશે, રાજગૃહીની જેમ.
વૈશાખ વદ બારસ : કૌશાંબી એ જોવાનું બાકી હશે, તે આજે પૂરું થયું. સામાન્ય રીતે દરેક તીર્થોમાં શ્વેતાંબર ને દિગંબરની ધર્મશાળા અલગ હોય છે. દિગંબર સાધુઓ એમની ધર્મશાળામાં જાય. આપણે આપણી ધર્મશાળામાં. આજે એ નિયમ તૂટ્યો. દિગંબર બાપજી આવી રહ્યા હતા, આપણી ધર્મશાળામાં. એમની ગાડી આગળ આવી ગઈ હતી. ગાડી ડાઈવરે એની બબ્બે ધર્મપત્ની બાપજીની રસોઈ માટે સાથે રાખી હતી. સામાન રસોડાનો જ ઘણો હતો. બાપજીના ઓરડે માત્ર ચટાઈ ગઈ. બાપજી આવ્યા. બે હતા, ખુલ્લામાં જમીન પર બેસી ગયા. કમંડળમાં પાણી મંગાવ્યું, પગ ધોવા માંડ્યા. એમના દેહ પર તડકો ચમકતો હતો. ઘસીસીને ચરણકમળ નહીં પણ સંપૂર્ણ પગકમળ સ્વચ્છ કર્યા. ઊભા થયા.
આપણા શ્વેતાંબર લોકોના રસોડે એક બાપજી આવ્યા. વૃદ્ધ હતા. પૂછ્યું : ક્યા સબજી રખ્ખા હૈ ? માણસોએ બધી શાકભાજી બતાવી. બોલ્યા બાપજી : એક થાલી ભર કે દે દો. માણસો પૂછે : કૌન સા. બાપજી ઓચર્યા : વો હમ નહીં બતા સકતે. શાકભાજી માંગતા હતા, જ્યાં શાકભાજી તે પૂછી શકતા હતા ને નામ પાડવાની ના. એક થાળી ભરીને ભીંડા આપ્યા. બાપજી એ ભડાથાળી હાથમાં લઈ પોતાના રસોડે ગયા. ત્યાં આજ્ઞા ફરમાવી. ‘ઈસી કા શાક બના લો.’ થાળીમાં લીંબુ, મરચાં પણ ગયેલાં. કપડાને ન અડનારા જીવંત વનસ્પતિને થાળીમાં ભરીને લઈ ગયા. આ જ હતો જિનકલ્પનો વારસો. બીજી પ્રતિભા જવાન હતી. એ મળવા આવ્યા. ધર્મશાળાની ઓસરીમાં બેસી પડ્યા સામોસામ. એવા ચક્કર આવે એમને જોઈને ? એમના હાથમાં નેપકિન હતો. પસીનો લૂછવા. ગરમી બહુ હતી. પરિગ્રહ ન રખાય, નેપકિન પહેરવાનો થોડો હતો? અમસ્તો કામ આવે એટલે રાખ્યો હતો. એમનો ડ્રાઈવર પોલિથિન બેગ આપી ગયો. એમાં ચણાનો લોટ હતો. પગ ધોવા. ગોચરીનો વખત થયો. એક શ્રાવક માથે કલશ, શ્રીફળ લઈને ઊભો રહ્યો. પધારો, એવું કાંઈક બોલવા માંડ્યો. એક બાપજી આવ્યા, જમણા ખભે હાથ મૂકીને. એમની ભિક્ષાચર્યા જે સ્થળે નિયત થાય તે સ્થાને ચોકો મંડાયો તેવું કહેવાય છે. બાપજી ચોકે આવ્યા. પાટલો તૈયાર હતો. બેઠા, કમંડળનાં પાણીથી પગ ધોવા માંડ્યા. હાથ પણ કસીને ધોયા. ઊભા થઈ અંજલિ વાળી. એ ખોબામાં જ આહારદાન કરવાનું હતું. પાંચ કે છ જણા પીરસતા હતા. સૌની સમક્ષ ઊભા રહીને બાપજી વાપરતા હતા. અંજલિ ન તૂટે તે માટે ટચલી આંગળીની ગાંઠ વાળી હતી. ત્રણ આંગળી અને અંગૂઠા છૂટાં હતાં. તેનાથી રોટલી, શાક, દાળ, ભાત બધું ભેળું થતું હતું. જમીન પર ઢોળાતું, શરીર પર વેરાતું. આ જિનકલ્પનો બીજો વારસો હતો. વાપરી રહ્યા પછી બેસી પડ્યા. કોગળા કર્યા. હાથ ધોયા. પાટલેથી ઊતર્યા. સૌએ જય બોલાવી. વાપરતા પહેલા ને પછી મોટા વાસણમાં હાથપગ ધોયેલાં તે પાણી છલકાયું હતું, રેલો દૂર સુધી નીકળેલો. કમંડળ વારંવાર ભરાતાં ને ઢોળાતાં. પાણી ઉકાળેલું હતું નહીં. કૂવાનું, ગાળી લીધેલું પાણી હતું. આપણા સાધુઓ પાણી ઉપયોગમાં લે છે. પરંતુ પાણીનો બેફામ ઉપયોગ નથી હોતો. માપમાં પાણી લાવવાનું અને વાપરવાનું પહેલેથી શીખવવામાં આવે છે. કારણ વગર પાણી ઢોળાય તો ઠપકો મળે છે, ચૂનાનું પાણી પણ વધારે થઈ જાય તો હિતશિક્ષાનો પ્રસાદ સાંપડે છે.