________________
૪૨
ભારતમાં પ્રભુનું કલ્યાણકસ્થળ આવી ઉપેક્ષિત હાલતમાં ? ભારે વેદના થઈ ? પૂજારી ઝડપથી પૂજા પતાવી દે છે, એને મોડું થતું હોય છે.
ભગવાને તીર્થંકર નામકર્મને સાથે લઈને જે સ્થળે માનવદેહ ધારણ કર્યો ત્યાં માત્ર સન્નાટો હતો. વાતાવરણ તો અદ્દભુત હતું જ. જનમજનમનો થાક ઉતારી દે તેવી સુરખી હતી ચોપાસ. ધ્યાનમાં અંતર્લીન થઈ જવાય તેવી પરમ શાંતિ હતી. આકાશમાં અનાહત સૂરો ગુંજતા હતા. ફૂલ જેવી મુલાયમ હતી હવા. તડકો દઝાડી ન શકે તેવો સરિતાતટનો સહવાસ હતો. ભીતરમાં આપોઆપ આનંદ અંકુરિત થાય તેવું સ્થળ હતું. હજીય જાણે ચૌદ સપનાં ઘૂમતાં હતાં. અતિશય પાવનતા હતી, છતાં વાતાવરણને અનુરૂપ પરિવેશ મળ્યો નહોતો. પ્રવેશદ્વાર અને ગર્ભદ્વાર એક જ હતાં. જિનાલય માટે સંકુલ હોય ને તેનો ભવ્ય, કમાનબદ્ધ, ઊંચો, લોખંડી મહાદરવાજો હોય ને તેમાંથી પ્રવેશીને ઘણું બધું ચાલ્યા પછી ઉત્તુંગ જિનમંદિર આવે-એવી કોઈ કલ્પના ચાલે નહીં. એક જ વાતું હતું, સમચોરસ આકારની ભીંતો અને સાદું શૃંગ, એમાં બધું આવી
ગયું.
દેવગતિને છોડીને પ્રભુએ જે સ્થળેથી માનવગતિમાં પ્રવેશ કર્યો તે સ્થાનને કોઈ લાડકોડ નથી મળ્યા. આ ભૂમિ, પ્રભુએ અમારો ત્યાગ કર્યો છે તેની ઘેરી વેદનામાં ડૂબી હશે એટલે કોઈ સાજ સજવાના એને હોંશ નથી લાગતા. મનોમન આ ધરતીને કહ્યું : “અમારાં અંતરમાં તો પ્રભુ પળવારેય પધાર્યા નથી. તમારાં આંગણે તો પૂરા ૮૨ દિવસ પ્રભુ રહ્યા. પ્રભુ ગયા તે તરત નથી ગયા. ઘણું રોકાઈને ગયા છે. તમે તો કણેકણમાં મહાપુણ્યવાન છો. તમારા પાલવમાં પાંગરેલો છોડ, આગળ જતાં ઘટાદાર વૃક્ષ બન્યો. તમે સીંચેલાં નીરથી એ એટલો ખીલ્યો કે દુનિયા આખીને એણે છાંયડો ધર્યો, પ્રભુ ચાલી ગયા તેનાથી તમારે હતાશ થવાનું ન હોય. તમારે તો પ્રભુ અહીં રહીને, સ્થિરતા કરીને ગયા તેનો હર્ષ માણવાનો હોય.”
મા દેવાનંદાનાં પગલાં ઝીલનારી આ ધરતી જવાબ આપે એવી અપેક્ષા હતી. જવાબ આવ્યો. એવો ધારદાર કે આંખો ભીંજાઈ ગઈ : ‘પ્રભુ પધાર્યા અમારે ત્યાં, તેનો આનંદ તો તમને સમજાય એવો નથી. એટલે જ તમને અમારી વેદના નથી સમજાવાની. પ્રભુ પધાર્યા તો પછી શું કામ ચાલી ગયા ? ચાલી જ
જવું હતું તો અમારા નાથ પધાર્યા શું કામ ? અમારે કોઈ દેવીદેવતાઓના મહોત્સવ જોવા નહોતા. અમારે તો એ કલૈયા કુંવરના ખેલ જોવા હતા. એ ભગવાન થવાનો હતો તે અમને ખબર નહોતી. અમને તો એટલી જ ખબર હતી કે એ અમારો ઉદ્ધાર કરવાનો હતો. છાણમાટીની ગાર લીંપેલી અમારી ઓસરીમાં એને ઘોડિયે ઝુલાવવો હતો. એને માટીનાં રમકડાં આપત ને સોનાથીય સવાઈ લાગણી સીંચત. અમારા ગરીબના ખોરડે એ રતન અજવાળું રેલાવત અને અમે સૌ એમાં નહાયા કરત. બસ, આ જ ભાવના હતી. તમને આ સમજાશે નહીં. અમારી વેદના એ છે કે અમારા આકાશમાં અમૃતનું વાદળ બંધાયું હતું. તેના છાંટણાય થોડા માણ્યાં હતાં. પછી કોણ જાણે એ વાદળ ક્યાં ફંટાઈ ગયું અને કોણ તાણી ગયું કાંઈ ખબર ના પડી, એ સૂરજ પૂર્વ દિશા લઈને આવ્યો ને પૂર્વ દિશા લઈને ચાલી પણ ગયો. હવે અમારે કંઈ દિશા જોવાની ? સંબંધ બંધાયો ત્યારે તો આલાદની ચરમસીમાએ પહોંચ્યા. પણ પછી સંબંધ એવો તો કપાયો કે જાણે અહીં કોઈ આવ્યું જ નહોતું. અંધારું જીરવી લેત અમે. પણ આ તો અજવાળું થયેલું તે છીનવાયું એની વ્યથા છે. પ્રભુનું પારણું અહીં ના ઝૂલું. એના ઊંડા ઘા સમજવા તમારે મા દેવાનંદા થવું પડશે. વિપ્રવર્ય ઋષભદત્તનાં આશ્વાસનમાં જે દર્દ ટપક્યું હતું તે સાંભળવું પડશે.”
મરુદેવી માતાનાં આંસુ સમજાય એવાં હતાં. મા દેવાનંદાનાં આંસુ સમજાય તેવાં નહોતાં કેમ કે એમણે તો ચૌદ સપનાં આવ્યાં અને ઝૂંટવામાં એટલું જ જોયેલું. તેય બંધ આંખે. આ ધરતીનાં આંસુ સમજાતાં હતાં. હવે કોઈ જવાબ હતો નહીં. જો કે મા દેવાનંદાનાં આંસુ ખુદ ભગવાને જ ઉકેલ્યાં હતાં. તીર્થંકર બન્યા બાદ પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામ પધાર્યા હતા. મા દેવાનંદાને બોધ આપ્યો હતો. પોતાનો દીકરો બેંતાળીસ-પિસ્તાલીસ વરસે પહેલી વાર મળે ને તેય ભગવાનનાં રૂપે મળે તેનો આશ્ચર્યભર્યો આઘાત ઝીલવાનું ગજું મા દેવાનંદા જ દાખવી શકે. ને પ્રભુ જ એમને પ્રતિબોધિત કરી શકે. ચ્યવનકલ્યાણકનાં મંદિરમાં સમય થોડો જ મળ્યો પણ ભાથું ભરપૂર બંધાયું.
પોષ સુદ પાંચમ : લકવાડ પ્રભુ મા દેવાનંદાની કૂખે પધાર્યા તેના થોડા જ સમય પછી ઇન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાન દ્વારા તપાસ આદરી. એમને પ્રભુનું નવું ઘર શોધવું