________________
sabada\2nd proof
૫૩
સંસારનું યથાર્થદર્શન
સુખને એક અવસર આપો
માણસ બે વિશ્વમાં જીવે છે. ૧. વાસ્તવિકતાનું ૨. કલ્પનાનું.
વાસ્તવિકતાનું વિશ્વ પદાર્થનિર્મિત છે. કલ્પનાનું વિશ્વ વ્યક્તિ પોતે બનાવે છે. ઘર વાસ્તવિક વિશ્વમાં આવે. ઘર વિષેની કલ્પના અને ધારણા કલ્પનાના વિશ્વમાં આવે. માણસ તેનું ખરું જીવન કલ્પનાના વિશ્વમાં જીવે છે. આ વિશ્વ જુદું છે. સંસાર દુ:ખદાયક છે એવું સંતો કહે છે. બહારનું વિશ્વ તો તટસ્થ છે. એ સારું પણ નથી અને ખરાબ પણ નથી. તેનું બુદ્ધિ દ્વારા થયેલું પૃથક્કરણ ખોટું કે ખરાબ હોય છે. બહારનું વિશ્વ સામેથી કયારેય આક્રમણ નથી કરતું. તેનું અર્થઘટન આક્રમક બનાવે છે.
દરિયાનું પાણી હોડીમાં ન જાય ત્યાં સુધી હોડી સલામત તેમ બહારના નિમિત્તો મન સુધી ન પહોંચે ત્યાં સુધી આત્મા સલામત. નિમિત્તોનાં પાણી આત્મા સુધી પહોંચે છે, ઇન્દ્રિય અને મન દ્વારા. ઇંદ્રિય અને મન આસક્તિના કબજામાં હોય ત્યાં સુધી ખોટા નિર્ણયો થયા કરે છે. મન જ ધારણાનું જગતુ સર્જે છે. અને ઇન્દ્રિયો કલ્પનાના ઘોડાપૂરને ઉત્તેજે છે. આપણી ગુલામ ઇન્દ્રિયો આપણને ગુલામ બનાવે છે. આ પરવશતા માણસને નિઃસત્ત્વ બનાવે છે. ભર્તુહરિને એકવાર સંસારનું યથાર્થદર્શન થયું અને તે યોગી બની ગયા. આપણને ઘણીવાર ફટકા પડે છે, છતાં આપણી આંખ ઉઘડતી નથી. સંસાર જયારે દુ:ખના પ્રસંગ સરજે ત્યારે તેને નિમિત્ત બનાવી ઇન્દ્રિયોના આવેગને નબળા પાડવાનો અભ્યાસ પાડવો જોઈએ. ઇન્દ્રિયો દ્વારા મનને મળતાં ખોરાક પર રોક લાગવી જોઈએ. આ રોક સમજણથી લાગી શકે છે.
પરમાત્મા આપણું જીવન સુખથી અને પ્રકાશથી ભરી દેવા માંગે છે. આપણા દુ:ખ વિશે આપણા કરતા વધુ ચિંતા પરમાત્માએ કરી છે. સુખને પામવાની લ્હાયમાં સુખને શોધવાની દૃષ્ટિ માનવી ગુમાવી બેઠો છે. સુખ પ્રાપ્તિમાં નથી, મુક્તિમાં છે. આપણું જીવન પ્રાપ્તિ પાછળ વીત્યું છે. સરવાળે હાથમાં દુ:ખ જ આવ્યું છે. પ્રાપ્તિનું પાગલપન છૂટે અને માન્યતામાં પરિવર્તન આવે તો સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો આત્મસિદ્ધ હક છે. પ્રાપ્તિની પરવશતામાંથી જે બહાર આવે છે તે સુખી બને છે. ‘સંતોષી નર સદા સુખી'. જેની જરૂરિયાતો ઓછી તે સુખી. ફેસીલીટી અને નેસેસરી શબ્દ વચ્ચેનો તફાવત સમજી શકે તે સુખી. જીવન જીવવા માટેની જરૂરિયાતો બહુ જ અલ્પ છે. હવા, પાણી, ખોરાક, વસતિ વગેરે જરૂરિયાતો પૂરી કરવા બહુ મહેનત નથી પડતી, ઘણી જરૂરિયાતો કુદરત સાવ મફતમાં પૂરી પાડે છે, છતાં માણસ દુ:ખી છે. કેમ કે તેની અપેક્ષાઓ વધુ પડતી છે. આ અપેક્ષાઓની જંજાળ પૂરી કરવામાં અને સાચવવામાં માણસ કરોળિયા જેવા જાળાં રચે છે, અને આખર એમાં જ ફસાઈને મરી જાય છે.
તમારું સુખ તમારાથી દૂર નથી. તમારું સુખ તમારી બહાર નથી. તમારી ભીતરમાં સુખનો સમંદર લહેરાઈ રહ્યો છે. સુખ માટે બહારની રઝળપાટ છોડીને ભીતરના સુખને એક અવસર આપીશું તો જીવન સુખી બનશે.
અવસર : જીવન જાગૃતિ પ્રવચન શ્રેણી-૧
- ૫૬ -
- પપ