________________
sabada\2nd proof
સફળતા અને સુખ વચ્ચે તફાવત છે
સફળ થવું છે ? તો ગુણલક્ષી બનો
સફળતા એક પરિસ્થિતિ છે જ્યારે સુખ આત્મસ્થિતિ છે. બીજા શબ્દોમાં કહીએ તો સુખ અનુભૂતિ છે. સુખ ક્યારેય ગોઠવાતું નથી, અનુભવાય છે. પરિસ્થિતિને ગોઠવી શકાય છે. અનુભૂતિ કેવળ માણી જ શકાય છે. સફળતા બહિર્ગામી છે તેને મેળવવા અને જાળવવા પુણ્યની જરૂર પડે છે. સુખની અનુભૂતિ પવિત્ર મન દ્વારા થઈ શકે છે. મનની પવિત્રતા સુખનો રાજમાર્ગ છે. મનની પવિત્રતા જાળવી રાખવાનો પ્રયત્ન તેનું નામ પરિણતિ.
આજનો માણસ સફળતા મેળવવા જેટલા ધમપછાડા કરે છે તેના સોમાં ભાગનો પ્રયત્ન પણ પવિત્રતા જાળવવા નથી કરતો. હજારો કરોડ રૂપિયાનું સામ્રાજય મેળવી લેવાની સફળતા હાંસલ કર્યા પછી બે ભાઈઓ ઝઘડે છે. જીવનમાં પરિણતિ કે મનની પવિત્રતા નથી. મનની પવિત્રતા વિનાની સફળતા દુ:ખદાયક છે. મન જો પવિત્ર હશે તો વિપરીત પરિસ્થિતિમાં પણ સુખ અનુભવી શકાશે. મન જો પવિત્ર નહીં હોય તો એરકંડિશન બેડરૂમમાં પણ ચેનની ઊંઘ નથી આવતી.
સફળ માણસો વ્યક્તિલક્ષી નથી હોતા. ગુણલક્ષી હોય છે. તેઓ દુશ્મનનો પણ ગુણ જોઈ શકે છે, અને તેની પ્રશંસા કરી શકે છે. તેમના નિર્ણય પર તત્કાલ લાગણીઓની અસર નથી હોતી. તેઓ માત્ર પોતાનાં સુખનો વિચાર નથી કરતા તેઓ હિતનો વિચાર કરી શકે છે. ‘મને શું કરવું ગમે છે.’ અને ‘મારે શું કરવું જોઈએ ?' આ બે લાગણીઓ બાબતે તેઓ અત્યંત સ્પષ્ટ હોય છે. રામચંદ્રજી ગુણલક્ષી વ્યક્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામ, રાવણના ગુણો જોઈ શકે છે માટે જ તેમને રાવણ પર દ્વેષ જાગતો નથી.
રાવણે જીવનમાં સીતાજીને ઉઠાવી જવાની પહેલી ભૂલ કરી. એ ભૂલનો બચાવ કર્યો એ બીજી ભૂલ કરી અને રામ ઉપર દ્વેષ કર્યો એ ત્રીજી ભૂલ કરી.
રામચંદ્રજીએ દુશ્મનના પણ ગુણ જોયા એથી જ એ મહાન બનીને પૂજાયા. રામચંદ્રજી માત્ર સીતા માટે યુદ્ધ નથી લડ્યા. રામચંદ્રજી સત્ય માટે યુદ્ધ લડ્યા છે. તેમનો દુમન રાવણ નથી તેમનો દુમને અન્યાય છે. રામચંદ્રજી રાવણ સાથે પણ માનવીય વ્યવહાર કરે છે જ્યારે આજનો માનવી નોકર સાથે પણ અમાનવીય વ્યવહાર કરે છે.