SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાન દ્વારા સિદ્ધોનું દર્શન કરી, જગતને સિદ્ધિનો માર્ગ બતાવે છે. સિદ્ધોની વિદ્યમાનતા જ ન હોત તો મોક્ષનો માર્ગ ન હોત. મોક્ષનો ઉપદેશ ન હોત. સિદ્ધતા પ્રગટાવવાના ઉપાય રૂપ ધર્મ ન હોત. ચેતન ! આત્મા અનંત અવ્યાબાધ અક્ષયસુખનો નિધાન છે. આ વાતની પ્રતીતિ સિદ્ધોના આલંબનથી થાય છે. એક સિદ્ધ આત્માએ એ સુખનો અનુભવ કરી, જગતના જીવોને નશ્વર સુખને છોડી, અક્ષય સુખના અર્થી બનવાનો સંદેશો આપતાં કહે છે, જેવું મારું સ્વરૂપ છે, તેવું જ તારું શુદ્ધ સ્વરૂપ છે. મારું ધ્યાન એ તારા શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ધ્યાન છે. જે સરૂપ અરિહંત કો સિદ્ધ સરૂપ વળી જેહ, તેહવો આત્મરૂપ છે, તિણમેં નહીં સંદેહ.” | (સમાધિ વિચાર ૨ ૧૯) ચેતન ! તું પણ સિદ્ધોની સિદ્ધતાનું સતત સ્મરણ કર. જેથી તારા કર્મોનો ક્ષય થશે અને તારું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થશે. માટે કર્મક્ષયમાં નિમિત્ત બનવારૂપ તેઓ જે મહાન સુકૃત કરી રહ્યા છે તેની અનુમોદના કર. ચેતન ! આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો ઉપાય પંચાચારનું પાલન છે. આચાર્ય ભગવંત પંચાચારનું સ્વયં વિશુદ્ધ પાલન કરી, પંચાચારનો ઉપદેશ આપે છે. આચાર પાલન એ ચારિત્રનો પ્રાણ છે. જેમ જલવૃષ્ટિ કરવા દ્વારા મેઘ વન-ઉદ્યાનને લીલોછમ બનાવે છે, તેમ આચાર્ય ભગવંત પંચાચારના પાલન અને ઉપદેશ દ્વારા ચારિત્રરૂપ ઉપવનને પ્રસન્નતાના પુષ્પોથી સુશોભિત બનાવે છે, સુવાસિત બનાવે છે. ચેતન ! તીર્થંકરની ગેરહાજરીમાં આ આચાર્ય ભગવંતો શાસનની ધુરાને વહન કરે છે. સમગ્ર વિશ્વમાં જૈન શાસનનું જે અનન્ય ગૌરવ છે, સર્વાધિક સ્થાન-માન છે, તેનું કારણ તેની સુવિશુદ્ધ, વિશ્વહિતકર આચાર સંહિતા છે. જૈન શાસનની આચાર સંહિતા વિશ્વમાં અજોડ છે. આચાર સંહિતાને આજ સુધી ટકાવી રાખી અને જગતમાં જૈન શાસનની શાનને વધારી આચાર્ય ભગવંતો, મહાન ઉપકાર કરે છે. ચેતન ! આવા આચાર્ય ભગવંતના સુકૃતની વારંવાર ખૂબ ખૂબ અનુમોદન કર, જેનાથી તારામાં આચાર પાલનનું બળ વધશે. જેહવો ઉવજઝાયનો ગુણ ભલો, સૂત્ર સજઝાય પરિણામ રે, સાધુની જે વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. || ચેતન / ૧૮ || અર્થ : તથા ઉપાધ્યાય ભગવંતના શાસ્ત્રાભ્યાસ પઠન-પાઠનગુણની તેમજ મૂળ ગુણો (પાંચ મહાવ્રતો અને ઉત્તર ગુણો (સમિતિ-ગુપ્તિ)ના ભંડાર એવા મુનિ મહાત્માના મુનિપણાની અનુમોદના કરું છું. • વિવેચન : - ચેતન ! આગમ શાસ્ત્રોમાં આચાર સંહિતાનો સંગ્રહ કરેલો છે. આચારોના હેતુ, સ્વરૂપ, ફળનું જ્ઞાન આગમ શાસ્ત્રોમાં મળે છે. ઉપાધ્યાય ભગવંત, આચાર્ય ભગવંતની સેવા-વિનય કરી તેમની પાસેથી આગમ-જ્ઞાન મેળવે છે અને મુનિ ભગવંતોને તે જ્ઞાનનું દાન કરે છે. આ રીતે શાસ્ત્ર-અધ્યયન કરવા અને કરાવવા દ્વારા તેઓ પણ ઉપકાર કરે છે. ચેતન ! અધ્યયન કરવા માટે વિનમ્ર બનવું પડે છે અને કરાવવા માટે કુશળતા મેળવવી પડે છે. ઉપાધ્યાય ભગવંતમાં એવી કુશળતા હોય છે કે તેઓ પથ્થર જેવી જડબુદ્ધિવાળા શિષ્યને પણ ચંદન જેવી શીતલ મધુર વાણી વડે અધ્યયન કરાવી, આગમના ગહન, સૂક્ષ્મ પદાર્થોનો બોધ કરાવે છે. સુત્ર-સ્વાધ્યાયમાં સદા ઉદ્યમશીલ રહેનારા ઉપાધ્યાય ભગવંતના આ પઠન-પાઠન રૂપ સુકૃતની અનુમોદના કર. સહજ સમાધિ • ૯૬ સહજ સમાધિ • ૯૭
SR No.008968
Book TitleSahaj Samadhi
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy