________________
(૬) “પૂજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના અસીમ ઉપકારથી હું દબાયેલો છું.” એવું વારંવાર કહેતા મુનિવર્યશ્રી આનંદવર્ધનવિજયજી મ. (ગૃહસ્થી નામ : ગોકળભાઇ છાડવા, સામખીયાળી)એ પૂજયશ્રી વિષેનો પોતાનો અનુભવ લખ્યો છે, તે આપણે તેમના જ શબ્દોમાં જોઇએ.
“નાનપણથી જ મને સાધુ-સંતોનો સંગ ગમતો, તેમના મુખેથી વાર્તા કે કથાઓ સાંભળવાનું ગમતું. પછી એ સંત જૈન હોય કે જૈનેતર હોય !
શરૂઆતમાં હું જૈનેતરોના ફરાળી ઉપવાસ, શ્રાવણ મહિનાના એકટાણા, શનિવારે હનુમાનનું વ્રત – વગેરે કરતો. તે વખતે જૈન ધર્મનો વિશેષ પરિચય નહોતો.
આ વખતે મારી ૧૦ વર્ષની ઉંમર હશે ! સ્થાનકવાસી કુટુંબમાં મારો જન્મ ! એટલે દેરાસર જવાના સંસ્કાર ઓછા. પણ મિત્રોના સંગથી મહાસતીઓ સાથે સ્થાનકમાં વાર્તા સાંભળવા ઘણીવાર જતો.
એક વખત લોકોના ટોળે-ટોળા એક જ દિશામાં જઇ રહ્યા હતા. મને કાંઇ ખબર નહોતી. મેં કોઇને પૂછ્યું : “આ બધા માણસો ક્યાં જઇ રહ્યાં છે?”
‘તને ખબર નથી ? આજે મોટા મહારાજ પૂજ્ય પંન્યાસજી શ્રી દીપવિજયજી (પૂ. દેવેન્દ્રસૂરિજી) માં પધારવાના છે. એટલે બધા સામૈયામાં જઇ રહ્યા છે.”
પણ સામૈયામાં ગયો. વાજતે-ગાજતે હું સૌની સાથે ઉપાશ્રયમાં આવ્યો. પહેલી વખત મેં જૈન સાધુને જોયા.
પૂજ્યશ્રીનું વ્યાખ્યાન શરૂ થયું. પૂજયશ્રીએ સંયમનું માહોભ્ય વર્ણવતી કડીઓ બુલંદ અવાજે લલકારી :
“જિનવર મંદિર સયલ મહિયલમાં, સોવન રયણે કરાવેજી; એક દિવસના ચરણ સમોવડ, કહો તે કેણીપેરે થાવેજી? આદર જીવ ! સંયમ-ગુણ આદર, મ કરીશ વાદ-વિવાદજી.”
ભાવાર્થ સમજાવતાં પૂજ્યશ્રીએ કહ્યું : કોઇ માણસ આ પૃથ્વી પર રહેલા ગામો કે નગરોમાં સોના કે રત્નોનાં જિન-મંદિરો બંધાવે અને શણગારે તેનાથી અધિક એક દિવસના ચારિત્રનું ફળ છે.”
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૯૮
વ્યાખ્યાનમાં એક બીજી પંક્તિ પણ પૂજયશ્રી બોલેલા : “કલિકાલે જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધારા.”
વળી, રાત્રિભોજન, કંદમૂળ, બોળ અથાણું વગેરેના સેવનથી થતા નરકના વિપાકો દર્શાવ્યા.
બસ, આ એક જ વ્યાખ્યાને મારા જીવનમાં ફેરફાર કરાવ્યો. તે જ વખતે મેં રાત્રિભોજન, કંદમૂળ વગેરેનો જીવનભર ત્યાગ કરી દીધો તથા જિનાલયમાં પ્રભુદર્શન, નવકારવાળી વગેરેના પણ નિયમો લીધા.
પૂજ્યશ્રીએ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ માટે પ્રેરણા કરી. એમની બોલવાની મીઠાશ, સંયમ શુદ્ધિનું તેજ, મુખ પર ઓજસ વગેરેના કારણે શબ્દમાં અનેરી તાકાત વર્તાતી.
હવે હું નિયમિત દેરાસર જતો થઈ ગયો. તે પહેલાં હું ક્યારેય જિનાલયે ગયો નહોતો, વીતરાગ પ્રભુનાં દર્શન કર્યા નહોતા.
ત્યાર પછી પૂજયશ્રી અવારનવાર પધારતા રહ્યા. પરિચય વધતો રહ્યો. ઘણી વખત પૂજ્યશ્રી મારી પાસેથી પુસ્તક વંચાવતા.
પછી, મારે મુંબઇ જવાનું થયું ત્યારે પૂજયશ્રીએ મને ખાસ પ્રેરણા કરેલી : “પ્રાણના ભોગે પણ ધર્મને સાચવવાનો. લીધેલા નિયમો ટકાવી રાખવાના.''
પૂજ્યશ્રીના આ વચનોને શુકનની ગાંઠ માની હું બરાબર વળગી રહ્યો. મુંબઇમાં નોકરી કરવાનો વખત આવ્યો ત્યારે મેં શેઠને મારા નિયમો જણાવી દીધા. મારા નિયમો તમને માન્ય હોય તો જ મારે નોકરી કરવી છે, નહિ તો નહિ. તે વખતે ખાવા-પીવાની સગવડ સાથે મહિને માત્ર ૧૦ રૂપિયા પગાર મળતો. સવારે ૫.૩૦ થી રાત્રે 10.00 સુધી સખત કામ કરવાનું રહેતું. પરંતુ આવા સંયોગોમાં પણ મેં મારા નિયમોમાં બાંધછોડ નથી કરી. આમાં પૂજયશ્રીનું કૃપા બળ કામ કરી રહ્યું હતું. ધર્મ સચવાયાનો મને ખૂબ જ આનંદ થતો. મુંબઇથી જયારે પણ હું દેશમાં આવતો ત્યારે પૂજ્યશ્રીને મળવા અવશ્ય જતો. પૂજ્યશ્રીને મળતાં જ એક પ્રકારની તાજગીનો અનુભવ થતો.
કચ્છ વાગડના કર્ણધારો + ૯૯