________________
וד
૫૨
વિરાગની મસ્તી
છોકરાં માંદાં પડ્યાં. ચંપા પણ ઘણી જ અશક્ત થઈ ગઈ. કામ કરવા જવા પગ ઉપાડવા જેટલી પણ શક્તિ ન રહી. હજુ પણ કોઈને હાથ ધરવા એ લાચાર હતી. જો વિમળશેઠ પાસે જઈને દુઃખનો અણસારો પણ કરી દેત તો ચંપાના દુઃખ ક્યાંય નાસી જાત! પણ આ બધા ય દુઃખ કરતા શેઠની પાસે હાથ ધરવાનું દુઃખ એને મન અસહ્ય હતું.
અંતે અબળાએ હિંમત ખોઈ. ત્રણ ત્રણ દિવસના કડાકા બોલ્યા. બાળકો બેભાન જેવાં થઈને પડ્યાં છે. ચંપા એક બાજુ સૂનમૂન બેઠી છે. શું કરવું? કશું સમજાતું નથી. કારમી ગરીબીનું જીવન મૃત્યુથી ય ભયંકર બન્યું છે પણ...
એણે વિચાર્યું કે આ જીવનની કડવાશ કરતાં કદાચ મૃત્યુ ઓછું જ કડવું હશે. આટલી બધી કડવાશ ચાખ્યા પછી ઓછી કડવાશવાળું મોત કંઈક મીઠું પણ લાગે! ત્યારે એ મીઠાશ તો મારા હાથમાં જ છે. એ માટે તો બે પૈસાની ય જરૂર નથી. પણ બાળકોનું કોણ? ઝટ અંતરમાંથી અવાજ આવ્યો, ‘એમનું ભાગ્ય!' મા જેવી મા બાળકોની બની નથી શકી તો હવે એમના ભાગ્ય સિવાય એમનું કોણ બનશે ? કદાચ મારાં જ પાપ એમના ભાગ્યની આડે આવતાં હોય એવું ય કેમ ન બને ! તો હવે બીજો વિચાર કરવાની ભાગ્યે જ જરૂર રહે છે. આજે જ રાતે એ પાપના પૂંજ સમી હું અહીંથી ખસી જાઉં. બાળકોને એમના ભાગ્ય સાથે રમી લેવા મૂકી જાઉં.
પળ બે પળમાં ચંપાએ સંકલ્પ કરી લીધો કે આજે રાતે ગામબહાર આવેલો ખાલી કૂવો પૂરવો. સાંજ પડી. ભૂખ્યાં સૂતેલાં ત્રણે ય બાળકોને જગાડ્યાં. ‘મા’ ‘મા’ ખાવાનું દે! ખૂબ ભૂખ લાગી છે. પેટ બળે છે, નથી રહેવાતું... કાંઈક દે! માએ પાણી પાયું, બળતા પેટને ઠારવા માટે એની પાસે પાણી સિવાય કશું ય ન હતું! બેટા રડો નહિ. પૂર્વજન્મનાં પાપ પોકારતાં હોય ત્યારે આપણે રોવું નહિ.'' પણ આ વાતને ધૂળિયાં બાળકો શું સમજે?
“બા, બા તું ય કેવી છે? બાપા તો અમને રોજ રોજ કેવું કેવું ખવડાવતા હતા? બા, બાપા ક્યાં ગયા છે? હજુ ય કેમ આવતા નથી? ક્યારે આવશે? તું ત્યાં જઈને એમને બોલાવી ન લાવે?’’
બાળકોની વાતો સાંભળતાં ચંપાનું હૈયું ભરાઈ ગયું. કાબુ રાખવા ઘણો પ્રયત્ન કર્યો પણ આજે તો હદ થઈ ગઈ હતી! એની આંખમાંથી દડદડ આંસુ જવા લાગ્યાં! બાળકો માને રોતી જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં !