________________
વિરાગની મસ્તી
૨૩
શહેરી લોકો પરસ્પર બોલતાઃ છે ને તદ્દન જડ પ્રજા! આખા ભારતની કાયાપલટ થઈ રહી છે તે વખતે ય આવાં કેટલાંક અંગોનો લકવા નહિ જવાનો તે નહિ જ જવાનો. ઉપરથી નહેરુજી ઊતરે તો ય એ લકવો નહિ જ મટવાનો! જ્ઞાન વિના બધું ય અંધારું! બિચારા અજ્ઞાન છે એટલે જ આવા પછાત વિચારો સૂઝે છે ને?’’
ગામડાનો એક ચકોર જુવાનીયો એમની વાત સાંભળી ગયો અને તરત બોલી ઊઠ્યો, ‘“ભાઈઓ, ભલે અમને તમારું ભણતર ન મળે, અમને તો તેનીય જરૂર જણાતી નથી. છેવટે ભણતર લઈને કરવાનું શું છે? જીવનમાં સદાચાર કેળવવો, દુઃખીઓ તરફ દયાભાવ રાખવો, સંતોષી બનવું, પરગજુ બનવું, કોઈ પણ જીવને જાણીજોઈને નિષ્કારણ દુભવવો નહિ, કોઈનું પણ બૂરું ચિંતવવું નહિ, દુઃખમાં પણ ભગવાનનું નામ લેવું વગેરે વગેરે... કે બીજું કાંઈ?!
અમારા આ ગામડાના એક એક માણસને ત્યાં તમે એકેક દી' રહો અને તેના જીવનને તપાસી જુઓ તો તમને ખબર પડશે કે તેમનામાં ભણતરનું જે ચણતર છે તેનું કેટલું સુંદર ઘડતર થઈ ચૂક્યું છે!
અમે કોઈ દી' જૂઠું બોલતા નથી, ચોરી કરતા નથી, દુરાચાર સેવતા નથી. સંતોષી બનીને રોટલા ખાઈને મસ્ત જીવન જીવીએ છીએ! શક્તિ મુજબ ભગવદ્ભજન વગેરે પણ કરીએ છીએ. હવે તમારા ‘ગોટ-પીટ’ કરવાના ભણતરની અમારે શી જરૂર રહી ભાઈ?’’
વળી પાછા એક શહેરી સદ્ગૃહસ્થ બોલી ઊઠ્યા, ‘‘અરે! પણ તમને કશી એટીકેટ ન આવડે, સારું બનાવીને ખાતાં ન આવડે, તમે દેશદુનિયાના સમાચારો જાણો નહિ, ભારતના પ્રાન્તો અને તેના પ્રધાનોનાં નામ પણ જાણો નહિ, રશિયા અમેરિકાની સાઠમારી જાણો નહિ, ચીને કરેલું આક્રમણ આપણા સ્વરાજ્યને ભયમાં મૂકી દેશે એ ય જાણો નહિ, સુવર્ણ નિયમનના કાયદાની કલમોનું તમને ભાન નથી, ‘હૂંડિયામણ’ શું વસ્તુ છે એ ય તમે જાણતા નથી, પાકિસ્તાન આપણો મિત્રદેશ છે કે શત્રુદેશ ? એની ય તમને ગમ નથી. આ બધું ન જાણ્યું તો તમે જાણ્યું શું? આજે તો ગામડે ગામડે નિરક્ષરતા નિવારણની ઝુંબેશ ઊપડી છે અને તમે તે વિષયમાં તદ્દન નીરસ રહ્યા છો ? જો આવી જ દશા તમને પસંદ હતી, તો લેવો તો ને પશુનો અવતાર, અહીં કેમ આવ્યા? નકામો વસતિ વધારો!!!''
આ સગૃહસ્થે ઘણા જોરમાં આવીને ઘણું કહી નાંખ્યું, પણ દા'નું સૂત્ર હતું,