________________
મહારાજ સાહેબ,
મારા હાથમાં જો પથ્થર જ નથી, તો હું પ્રતિમાનું સર્જન કરી જ શકું શી રીતે ? મારી પાસે જો કોરો કાગળ જ નથી તો હું સુંદર ચિત્રનું સર્જન કરી શકું જ શી રીતે ? મારી પાસે જો સ્વસ્થ જીભ જ નથી તો હું પ્રભુની સ્તુતિઓ બોલી શકું જ શી રીતે ?
ટૂંકમાં, મારું મન એમ કહી રહ્યું છે કે સારું પરિણામ જો આપણે મેળવવું હોય તો આપણી પાસે સારી સામગ્રીઓ હોવી જ જોઈએ. આપ આ અંગે શું કહો છો ?
પ્રેમલ,
પથ્થર તો ગુંડાના હાથમાં પણ હોય છે પણ એના દ્વારા પ્રતિમાનું સર્જન નથી જ થતું એ તારા ખ્યાલમાં હશે જ. કોરો કાગળ તો વાસનાલંપટના હાથમાં પણ હોય છે પણ એના દ્વારા કોઈ સુંદર ચિત્રનું સર્જન નથી જ થતું એ તારી જાણમાં હશે જ. જીભ તો ગુંડા પાસે ય સ્વસ્થ હોય છે પણ એના મુખમાંથી સ્તુતિઓના શબ્દો નથી જ નીકળતા એ તારા ખ્યાલમાં હશે જ.
૩૭