SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યા કરે નર ફાંકડા. થેલીકા મુંહ સાંકડા રેતીનાં મકાન ને માથે સોનાનાં નળિયાં બોર જેવા માણસ, અંદરથી ઠળિયા ! છલકે છલુક છલકાતી'તી પ્રેમની ગાગર, અંજલિભર જળ પીધું, ને દેખાયા તળિયા ! સૂરજ હૈં એ નીકળશે, ધાર્યું'તું કોણે ? ઝાંકળની જેમ બળી ગયા મારી આંખનાં ઝળઝળિયાં. બહુ બહુ તો ભાઈ આપણી, ક્ષિતિજ સુધીની પહોંચ, ને આકાશમાં ઊઘડે છે, એમનાં મકાનનાં ફળિયાં જનમટીપની સજા ભોગવી રહ્યો છું માલિક હું તો આંખ સમજ્યો’તો, નીકળ્યા જેલના સળિયા ! કો’ક અજ્ઞાત કવિની આ પંક્તિઓ એટલું જ કહે છે કે માણસ નામના પ્રાણીનો કોઈ જ ભરોસો કરવા જેવો નથી. એ બહારથી દેખાય સોના જેવો અને અંદરથી હોય કથીર. હાથમાં એ ગુલાબ લઈને ઊભેલો દેખાય અને એની હથેળીમાં એણે છુપાવી રાખ્યા હોય કાંટા. એની જબાનમાં છલકાતું હોય શૌર્ય અને જિગરમાં એ નરી નામદઈ લઈને બેઠો હોય. વાતોમાં હોય એ શૂરો અને અક્કલનો હોય એ સાવ અધુરો. દીમાગ એનું શ્રીમંતાઈથી ફાટફાટ થતું હોય અને દિલ એનું દરિદ્રતાનું પ્રતિનિધિત્વ ધરાવતું હોય. તમે કાગડાની અંદર-બહારની કાળાશથી વાકેફ હો તો તમને એની સાથે વ્યવહાર કરવાનો ખ્યાલ આવે. તમને હંસની અંદર-બહારની ધવલતાનો ખ્યાલ હોય તો તમે એની સાથે ઉચિત વ્યવહાર કરી શકો પરંતુ બગલાની બહારની ધવલતા અને અંદરની કાળાશની તમને જાણકારી જ ન હોય તો એની સાથેના વ્યવહારમાં તમે માર ખાધા વિના ન રહો. શું કહું? જોઈ લો હજારો વરસોનો ઇતિહાસ. માણસ સિંહથી કે વાઘથી, સર્પથી કે શિયાળથી, રાક્ષસથી કે હાથીથી એટલો નથી છેતરાયો, જેટલો માણસથી છેતરાયો છે. ભૂકંપે કે વાવાઝોડાએ, સુનામીએ કે જ્વાળામુખીએ એટલા માણસોને ખતમ કરી નથી નાખ્યા જેટલા માણસોએ ખતમ કરી નાખ્યા છે. ઝેરના સેવને કે અકસ્માતોની હારમાળાઓએ એટલા માણસોને પરલોકમાં રવાના નથી કર્યા જેટલા માણસોએ રવાના કર્યા છે. કારણ ? આ એક જ. અંદરથી એ કાળો, બહારથી ઊજળો. જબાનથી એ ફાંકડો, હૃદયથી એ આંકડો. ફોટામાં એ સસલા જેવો અને ઍક્સ-રેમાં એ શિયાળ જેવો. મહોરું એનું સંતનું અને ચહેરો એનો શેતાનનો. આચરણ દેખાય એનું દીવાળી પ્રગટાવતો હોય એવું અને અંતઃકરણમાં એ બેઠો હોય હોળી પ્રગટાવીને. જાતને બચાવી લેવી છે આ ત્રાસદાયક અને નુકસાનકારક જીવનશૈલીથી ? બે કામ ખાસ કરીએ. ૧. તૃષ્ણાને નિયંત્રિત કરી દઈએ અને ૨. સારા દેખાતા રહેવાની ખતરનાક વૃત્તિથી મનને મુક્ત કરી દઈએ . જો આ બંને બાબતની આપણે ઉપેક્ષા કરતા રહ્યા તો આપણે કદાચ ખોળિયેથી જ માનવ રહી શકશું, વૃત્તિથી અને પ્રવૃત્તિથી પશુથી આગળ વધીને કદાચ રાક્ષસ બની જવા સુધી પહોંચી જશું. યાદ રાખજો , તૃષ્ણાનું પોત જો સ્મશાનનું છે તો દંભનું પોત વજનું છે. સ્મશાન ગમે તેટલાં મડદાંઓને બાળી નાખ્યા પછી ય જેમ અતૃપ્ત જ રહે છે તેમ તૃષ્ણા લખલૂટ સામગ્રીઓની પ્રાપ્તિ પછી ય ભૂખાળવી જ રહે છે. વજ જેમ ધારદાર તલવારથી કપાતું નથી તેમ દંભ મજબૂત અને સશક્ત પ્રભુવચનોના શ્રવણ પછી ય તૂટવાનું નામ નથી લેતો. સાવધાન !
SR No.008939
Book TitleShu Vaat Karo Cho
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size167 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy