SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આંધળાને બધા રંગ સરખા કૈલાસ પંડિતની આ પંક્તિઓઃ આ બહુ મોટું નગર ! છે દિવસને રાતના જેવું કશું જાણ છે એની ફક્ત લોકોને બસ કોણ કોને સાંભળે કહેવાય ના, પણ બધાં ઘડિયાળની ટકટકને વશ... જોઈ સૂરજને હસે છે કુલરો, અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે ટાઇપ થયેલા પત્ર જેવા માણસો સ્મિતનું પૃથક્કરણ કરવું પડે. મૂંગા મૂંગા માણસો ચાલ્યા કરે, હાથ પોલીસનો સતત હાલ્યા કરે લાલ લીલી બત્તી પર સહુની નજર, સિગ્નલોના શ્વાસની જીવતું નગર... હા, બહુ સંભાળજો આ ભીડમાં, કોઈનો ધક્કો જરી વાગે નહીં આંખ ઢાળી ચાલતા સજ્જન તણી આંગળીઓ ભૂલથી જાગે નહીં આ બહુ મોટું નગર ! અહીં ‘અંધ’ તરીકે તમે લોભાંધને મૂકો, કામાંધને મૂકો કે મોહાંધને મૂકો. તમને ખ્યાલ આવી જશે કે તેઓને દિવસ અને રાત પણ સરખા હોય છે, ગરીબ અને અમીર પણ સરખા હોય છે તો સ્ત્રી અને પુરુષ પણ સરખા હોય છે. લોભાંધ પોતાના લોભની પુષ્ટિ ખાતર સગા બાપની સામે ય કોર્ટે ચડવા તૈયાર હોય છે તો અવસરે પોતાના સગા દીકરાની હત્યા કરી નાખવા ય એના હાથ તૈયાર હોય છે. ગમે તેવા ગરીબને આંસુ પડાવવા એ તત્પર હોય છે તો ગમે તે હદની કૂરતા આચરતા ય એને કોઈ હરખ-શોક હોતો નથી. કામાંધ પોતાની વાસનાની આગને ઠારવા સગી બહેન પર પણ નજર બગાડતો હોય છે તો સગી પુત્રીને ય હવસનો શિકાર બનાવતા એ અચકાતો નથી હોતો. એ રાતે તો પશુ બને જ છે પણ દિવસે ય પશુ બનવા એ તૈયાર હોય છે. મનોરંજનના સ્થળે તો એ વ્યભિચાર આચરે જ છે પણ તક મળે છે તો ધર્મસ્થાનને ય ભ્રષ્ટ કરતા એ શરમાતો નથી. અને મોહાંધની નીચતાની તો કોઈ વાત થાય તેમ નથી. એટમબૉમ્બ કે ભૂકંપ તો એકાદ વખત વિનાશ વેરીને અટકી જાય છે, વાવાઝોડું કે સુનામી તો એકાદ વખત તબાહી સર્જીને અટકી જાય છે પરંતુ મોહાંધ તો જીવનભર વિનાશ વેરતો જ રહે છે અને તબાહી સર્જતો જ રહે છે. જગતનાં જે પણ નીચકાર્યો છે એ કરતાં એને કોઈ જ અરેકારો થતો નથી. નિંદનીય તમામ અકાર્યો આચરતા એને કોઈ જ અફસોસ થતો નથી. કમાલની કરુણતા તો એ છે કે આ બધું કર્યા પછી ય એના ચહેરા પર હાસ્ય ફરકતું રહે છે. એનું ચિત્ત પ્રસન્નતા અનુભવતું રહે છે. કહેવું હોય તો એમ કહી શકાય કે જન્માંધને બધા રંગસરખા હશે પરંતુ લોભાંધ, કામાંધ અને મોહાંધને તો બધા પાપ સરખા હોય છે. એ રમતમાત્રમાં ખૂન પણ કરી શકે છે તો હસતા હસતા વ્યભિચારમાં ય પ્રવૃત્ત થઈ શકે છે. ચોરી એને મન ડાબા હાથનો ખેલ હોય છે તો જૂઠ તો એના લોહીમાં રમી ગયું હોય છે. આવો એક કામ કરીને જ રહીએ. જન્માંધ બનવાનું દુર્ભાગ્ય લમણે જ્યારે નથી જ ઝીંકાયું ત્યારે નીતિના માર્ગે ચાલતા રહીને લોભાંધ બનતા પણ અટકીએ. સદાચારને પકડી રાખીને કામાંધ બનતા પણ અટકીએ અને વિવેકને હાજર રાખીને મોહાંધ બનતા પણ અટકીએ. કમ સે કમ જીવનમાં પાપોની મર્યાદા તો નક્કી થઈને જ રહેશે !
SR No.008939
Book TitleShu Vaat Karo Cho
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size167 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy