________________
બકરીની માનતા સહુ કરે
વાઘની માનતા કોઈ ન કરે
વિપિન પરીખની આ પંક્તિઓ ઃ ફાઉન્ટનના રસ્તા પર એક બળદ અકસ્માતમાં ખલાસ થઈ ગયો.
ભાઈ બળદ, સવારના દસનો ટાઇમ
જરા ધ્યાન દઈને ચાલીએ ને ?
તારું નામ શું ? જવા દે. નામ ગમે તે હોય,
અહીં શો ફરક પડવાનો હતો ? [અને તે પણ હવે ?] ભાઈ, આમ ઑફિસ
પહોંચવાના સમયે આપણું મૃત્યુ
શબ બનીને લોકોને અવરોધ કરે તે ઠીક નહીં. હું જાણું છું, આટલા બધા માણસોની વચ્ચે
ચાલુ દિવસે તને પણ મરવું નહીં જ ગમ્યું હોય તો પણ, હું અથવા તું કરી પણ શું શકીએ ?
આ પૂરપાટ દોડી જતી મોટરો અને બસો અને આટલા બધા લોકોની વચ્ચે ચાલવાનું અને જીવવાનું જ્યારે પસંદ કર્યું જ
હતું ત્યારે મૃત્યુની પણ આપણે પસંદગી કરી
જ લીધી હતી ને ? તો પછી ભાઈ, એનો અફસોસ
શો કે મરતી વખતે કોઈએ હોઠ પર ગંગાજળ
મૂક્યું કે ન મૂક્યું !
સમસ્ત સંસારની કદાચ આ જ તાસીર બની ચૂકી છે. તમારાથી જે નબળો હોય, નિર્બળ હોય, કમજોર હોય એને દબાવતા જ જાઓ. એનું જ શોષણ કરતા જાઓ. તમારા સ્વાર્થને પુષ્ટ કરવા એનો જ ઉપયોગ કરતા જાઓ. તમારું જીવન બચાવવા એનું જ બલિદાન દેતા જાઓ.
૪૯
માણસ મોરને પકડે છે. મોર સર્પને પકડે છે. સર્પ દેડકાને પકડે છે. દેડકો વાંદાને પકડે છે. વાંદો કીડાને પકડે છે. કારણ ? જે પકડાઈ રહ્યો છે એ કમજોર છે. મોટા [GREAT] માણસમાં અને મહાન [GOOD] માણસમાં આ જ તો તફાવત છે. પોતાના કરતાં જે જીવો કમજોર છે તેઓને દબાવતો જ રહેતો માણસ કદાચ મોટો બની જવામાં સફળ બની જાય છે પરંતુ એ કમજોર જીવોને બચાવવાના પ્રયત્નોમાં લાગી જતો માણસ તો મહાન બની જાય છે.
જોઈ લો વર્તમાન જગતને. સર્વત્ર ‘મોટા’ બની જવાની જાણે કે હોડ લાગી છે. દુનિયાના દરેક પાસે શસ્ત્રોના ભંડારો ભર્યા-પડ્યા છે. એ દેશના પ્રજાજનોને પેટ ભરવા પૂરતું અનાજ કદાચ ઉપલબ્ધ નહીં થતું હોય, રહેવા માટેનું ઘર કદાચ દરેક પ્રજાજન પાસે નહીં હોય, આરોગ્યની વ્યવસ્થા કદાચ દરેકને ઉપલબ્ધ નહીં થતી હોય પણ શસ્ત્રો તો દરેક દેશ પાસે પાર વિનાનાં હશે.
કારણ ? બે. કાં તો એ દેશને બીજા દેશ પર આક્રમણ કરવું છે અને કાં તો બાજુવાળો દેશ પોતાના પર જો આક્રમણ કરી બેસે તો સ્વ-બચાવ કરવો છે. જવાબ આપો. પરિવારના સભ્યોને ભૂખ્યા રાખીને જે ઘરનો વડીલ ઘરમાં ફર્નિચર ભર્યે જ જતો હોય એ ઘરનું, ઘરના વડીલનું અને પરિવારના સભ્યોનું થાય શું ?
જે દેશના શાસકો પ્રજાજનોના પેટની અવગણના કરતા રહીને શસ્ત્રાગારોને છલકાવેલા જ રાખતા હોય એ દેશનું, દેશના શાસકોનું અને એ દેશના પ્રજાજનોનું આખરે થવાનું શું ?
ખેર, આપણે પોતે આપણા જીવન રાહને બદલવા કટિબદ્ધ બની જઈએ. બહાદુરોથી ભલે કદાચ દબાતા રહેશું પરંતુ કમજોરને તો આપણે બચાવતા જ રહેશું. ‘મહાન’ બનવાનું શમણું કોક ભવમાં તો સાકાર થઈને જ રહેશે.
૫૦