________________
પાઘડ બાંધે મોટા ને અંદરથી ખોટા
મીરા આસીફની આ પંક્તિઓ: ‘આડાઅવળા અક્ષર જેવો માણસ ખોટા ભણતર જેવો; રંગ વગરનો રૂપ વગરનો ઘાટ વિનાના ઘડતર જેવો; સાવ ખખડધજ જીવતર એનું ઈટ વિનાના ચણતર જેવો; રોજ સવારે ફૂલ સરીખો સાંજ પડે ત્યાં પડતર જેવો; વાદળ થઈને ખૂબ ગરજતો વરસે ત્યારે ઝરમર જેવો; પરપોટાને મોતી સમજે લાગે જાદુમંતર જેવો.
દેખાય માણસ અને એના પરિચયમાં આવો ત્યારે તમને ખ્યાલ આવી જાય કે શેતાન પણ આની આગળ પાણી ભરે છે ! ખ્યાતિ હોય એની ક્ષમાશીલની અને અંતરમાં એ લઈને બેઠો હોય ક્રોધનો જ્વાળામુખી ! લાગે એ નમ્રતાની સાક્ષાત્ મૂર્તિ અને અહંની એની ઊંચાઈ મેરુની ઊંચાઈનેય શરમાવી દે એવી હોય ! જીવન એનું પવિત્રતાના માનસરોવરની જાહેરાત કરતું હોય અને અંતરમાં એ વાસનાની ગંધાતી ગટરમાં દિનરાત આળોટ્યા કરતો હોય! જીભ પર એની, મા સરસ્વતી બિરાજમાન થઈ ગયાનું તમને લાગે અને જિગરમાં એ વૈરનો દાવાનળ સંઘરીને બેઠો હોય!
દેખાય તમને માખણ અને નીકળે એ પથ્થર, દેખાય તમને ગાય અને નીકળે એ સિંહણ, દેખાય તમને પાણી અને નીકળે એ આગ, દેખાય તમને મીઠાઈ અને નીકળે એ વિણા, દેખાય તમને રેતી અને નીકળે એ પથરાઓ, એવું ક્યારેય તમારા અનુભવમાં નહીં આવે પણ માણસની બાબતમાં તમને કોઈ પણ પ્રકારનો વિચિત્ર
અનુભવ થઈ જ શકશે. તમે એને ધાર્યું હશે કેવો અને એ નીકળશે કેવો?
શું કહું?
હજારો-લાખો વરસોનો ભૂતકાળ તમે તપાસી જાઓ. ભૂકંપે કે જ્વાળામુખીએ, વાવાઝોડાએ એ દાવાનળ, દુષ્કાળ કે લીલા સુકાળ જેટલા માણસોને યમસદને પહોંચાડ્યા હશે એના કરતાં કેઈગણા માણસોને તોયમસદને માણસોએ જ પહોંચાડ્યા હશે.
આવું શા માટે બન્યું હશે ? આવું શા માટે આજે ય બની રહ્યું છે? ભવિષ્યમાં ય આવું જ શા માટે બનવાનું હશે ? બે જ કારણસર ! માણસનો અહં અને માણસનો દંભ ! જ્યાં સુધી માણસ આ ‘અહં” ને પુષ્ટ કરતા રહેવાની બેવકૂફી પર પૂર્ણવિરામ મૂકી દેવા તૈયાર નહીં થાય અને જ્યાં સુધી દંભના આકર્ષક દેખાતા પડદાને ચીરી નાખવા તૈયાર નહીં થાય ત્યાં સુધી માણસો, માણસોને મારતા જ રહેવાના છે.
જગતની વાત કરવાનો કોઈ અર્થ નથી કારણ કે જગત આપણા વશમાં નથી અને જગતને સુધારી દેવાની આપણી કોઈ જવાબદારી પણ નથી પણ આપણું મન તો આપણા વશમાં જ છે અને આપણાં મનને ઠેકાણે રાખવાની આપણી જવાબદારી પણ છે.
એક જ કામ કરીએ. અહંની નપુંસકતાને સતત આંખ સામે રાખીએ કારણ કે એણે જ આપણને આગળ વધવા દીધા નથી. દંભની ખતરનાકતાને આંખ સામે સતત રાખીએ કારણ કે એણે જ આપણને વિશ્વસનીય, પ્રશંસનીય અને વંદનીય બનવા દીધા નથી. ઉત્તમ એવા આ જીવનમાં જો આ બે દોષો પર પણ કાબૂ મેળવવામાં આપણે સફળ બની ગયા તો માની લેવું કે આ જીવન આપણે જીતી ગયા ! પ્રયત્નશીલ બનશું આપણે એ દિશામાં ?