________________
૨૫
દુઃખ અપ્રિય હોવા છતાં જીવનમાં આવે જ છે, એને દૂર કરવાના લાખ પ્રયાસો છતાં ય એ જીવનમાં અડ્ડો જમાવીને પડ્યું-પાથર્યું રહે જ છે. શું આનો કોઈ કાયમી વિકલ્પ જ નહીં હોય?
હર્ષિત, ફૂલોની માળા તો તે જોઈ છે ને? જવાબ આપ. ફૂલોને તો તે ઘણી વાર જોયા હશે પણ એ ફૂલોને એક જ તાંતણે બાંધી રાખનાર દોરાનાં દર્શન તે ક્યારેય કર્યા છે ખરા? એ દોરો તારી નજરે ક્યારેય ચડ્યો છે ખરો? કદાચ આ પ્રશ્નનો તારો જવાબ “ના” માં જ હશે.
તે જે વિકલ્પ માગ્યો છે ને દુઃખોથી મુક્ત થવાનો, એનો જવાબ આમાં છે. તારી નજર દુઃખો તરફ તો અનેકવાર ગઈ છે પણ એ દુઃખોને જન્મ આપનાર કારણો તરફ તારી નજર ક્યારેય ગઈ છે ખરી? દોરો તૂટવાની સાથે જ ફૂલો જેમ આપોઆપ વિખરાઈ જાય છે તેમ જીવનમાંથી દુઃખોનાં કારણોને દૂર કરતાંની સાથે જ આત્મા દુઃખમુક્ત થવાના માર્ગ પર આગેકૂચ કરતો જાય છે.
યાદ રાખજે, કારણને જીવંત રાખીને કાર્યથી બચતા રહેવામાં કોઈને ય સફળતા મળી નથી અને મળવાની પણ નથી. દુઃખ એ જો કાર્ય છે તો પાપ એ કારણ છે. અશાતાનો ઉદય એ જ કાર્ય છે તો અશાતાનું દાન એ કારણ છે. દરિદ્રતા એ જ કાર્ય છે તો અનીતિ, ચોરી વગેરે કારણ છે.
તને મારે એટલું જ પૂછવું છે કે તું દુઃખદ પરિણામથી જ તારી જાતને બચાવવા માગે છે કે પછી એ પરિણામને જન્મ આપતી પ્રક્રિયાથી તારી જાતને બચાવવા માગે છે?
શું કહું તને?
४८