________________
૨૨૦
નહિ ઐસો જનમ બાર-બાર
સાધકની સામે મોં ફાડીને ઊભેલી બે ભયાનક ખીણો
મોક્ષ માર્ગ કેટલો કપરો ? કહ્યું છે ને ઃ“સાધુ જીવન કઠિન હૈ, ચડના પેડ ખજૂર.
ચડે તો ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર.''
મોક્ષનો માર્ગ એક નથી. માત્ર ક્રિયામાર્ગ પણ ન ચાલે; માત્ર જ્ઞાનમાર્ગ પણ ન ચાલે.
જ્ઞાન-ક્રિયાના સમન્વયમાં જ મોક્ષમાર્ગ રહેલો છે.
અફસોસની વાત એ છે કે કેટલા મોક્ષમાર્ગના પથિકો માત્ર ક્રિયાને વળગ્યા છે; રાગ-દ્વેષને મારવાનું, માંદા પાડવાનું કે છેવટે એવી તીવ્ર ભાવના રાખવાનું પણ એમને જરૂરી લાગ્યું જ નથી. ક્રિયા માત્રથી મોક્ષ થવાની એમની બુદ્ધિએ જ એમને ધોકો પહોંચાડયો છે. આવા લોકો સાધના-પર્વતની સાંકડી ધારે ચડતાં મોક્ષના શિખરે તો પહોંચી શકતા જ નથી. પરંતુ એ પર્વતધારની એક બાજુની ભયાનક ખીણમાં ગબડી પડે છે. વિરાટ સંસારનું પરિભ્રમણ પામે છે.
બીજા કેટલાકો પણ પોતાની વિચિત્ર બુદ્ધિનો ભોગ બન્યા છે. એમણે આત્માને ઓળખવાની વાતથી જ મોક્ષસિદ્ધિની વાતો કરી છે. ક્રિયામાર્ગ આખો ય તિરસ્કારી નાખ્યો છે. ખાવત, પીવત મોક્ષ માનત... જેવી મનોદશા એમણે પકડી છે. આવા લોકો રાગ-દ્વેષના પર્યાયોની વાતો ખૂબ કરે છે પણ શુભ ક્રિયાત્મક જીવન ન હોવાથી એમનાં જીવનમાંથી તો રાગદ્વેષ કદી ટળતા નથી.
પર્વતની ધારની બીજી-બાજુએ મોં ફાડીને ઊભી રહેલી ખીણ આવા લોકોનો ભોગ લે છે.
મોક્ષના ટોચ શિખરે જેને જવું હોય તેણે આ બેય વાતનો સમન્વય કરવો પડશે. રાગદ્વેષને માંદા પાડીને મારવા સુધીની તીવ્ર ભાવનાનો જ્ઞાનયોગ જાગ્રત રાખો અને તે માટે જ શુભક્રિયાત્મક જીવનના શરણે જાઓ.
મોક્ષનો આ એક જ માર્ગ છે. જ્ઞાન-ક્રિયાના શાસ્ત્રીય સમન્વયનો.