________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૩૭
મજેથી પાપ નહિ કરવાની ખાતરીવાળાનેપાત્ર કહેવાય
ધર્મનું શ્રવણ કરવાની પાત્રતા કોનામાં ?
હકીકતે સંતોમાં અને સજ્જનોમાં. પાપો કરનારાઓમાં એ પાત્રતા શી રીતે કહેવી? પણ છેવટે એમ કહી શકાય કે અનીતિ, અનાચાર આદિ પાપો કરનારને પણ જો તે પાપોનો ભારે ત્રાસ હોય; એનું હૈયું વલોવાઈ જતું હોય; રોજ રાત પડે ને એ રડતો હોય તો આપણે એવા પાપીને ય ધર્મશ્રવણનો અધિકારી કહીએ.
પરંતુ આવો છેલ્લી કક્ષાનો પાત્રવર્ગ પણ કેટલો? હજારે પાંચ માણસો આવી છેલ્લી પાત્રતા ધરાવતા હશે ખરા?
લગભગ બધાયને-મજેથી પાપો કરવાની ખતરનાક કુટેવ પડી ગઈ છે. કેમ જાણે મજેથી પાપ કર્યા વિના કોઈને ચેન જ પડતું નથી! હવે આવી જ સ્થિતિના માનવોને શું ધર્મશ્રવણ કરાવવું જ નહિ? રે! તો આ બિચારાઓનો ઉદ્ધાર શે થાય? કોઈ રસ્તો કાઢવાની દયા તો કરવી જ રહી.
હા. એક રસ્તો છે. મજેથી પાપ કરનારાઓ જો એવી ખાતરી આપી દે કે, “થોડા જ સમયમાં અમે મજેથી પાપ કરવાની કુટેવને તિલાંજલિ આપી દઈશું.’ તો આ લોકોને પણ આપણે છેલ્લામાં છેલ્લી કક્ષાની પાત્રતા ધરાવતા જીવો કહી શકીએ. કોઈ માણસ ગામડામાં રોકડેથી જ ધંધો કરવા જાય અને ધંધો ચાલે તેમ ન જ હોય તો છેવટે તેને ઉધારિયું પણ ચલાવવું પડે છે ને ?
ભાવિમાં પાપ નહિ કરવાની ખાતરી સાથેનું ધર્મશ્રવણ એક આવો જ ઉધારીઓ ધંધો ગણાય.
સારું ન થાય તોય કોકના સારા કાર્યનું અનુમોદન કરો.
કોણ જાણે કાળ કેવો આવ્યો છે? રે! ભૂલ્યો. માણસોના કાળજા કેવા બન્યા છે? કેટલા ખરાબ થયા છે? સીધેસીધા રસ્તે પણ કેળાની છાલ મૂકવાની જ ઘણાની ભાવનાઓ છે! પછી પેલા બિરાદર લપસીને પડે કે તરત તાળીઓનો ગડગડાટ! સીધા ચાલ્યા જતા માણસને ઠોસો મારીને પજવીને જ આગળ ચાલવાની જાણે બધાયને કુટેવ પડી ગઈ છે ! આર્યસંસ્કૃતિ ઉપર થયેલા પાશ્ચાત્ય શૈક્ષણિક આક્રમણના