________________
મહારાજ સાહેબ, આપે તો કમાલનું સમાધાન આપી દીધું.
સ્ત્રીમાં સ્ત્રી જ છે, જ્યારે પૈસામાં શું નથી એ પ્રશ્ન છે' આપે આપેલ આ સમાધાનનો અર્થ હું એમ સમજ્યો છું કે
સ્ત્રી એ જો સુખ છે તો પૈસો એ સુખનું કારણ છે. સ્ત્રીમાં જો માત્ર વાસનાતૃપ્તિનું જ સુખ છે તો પૈસામાં તમામ સુખોનું કારણ છુપાયેલું પડ્યું છે અને એટલે જ સ્ત્રીના સહવાસ કરતાં ય માણસને પૈસોના સંગ્રહમાં વધુ રસ છે. સ્ત્રીને ભોગવવામાં માણસને જેટલો રસ છે એના કરતા વધુ રસ માણસને પૈસા ભેગા કરવામાં છે. સ્ત્રીના કામચલાઉ સુખ કરતાં પૈસાના કાયમી સુખ પર માણસ વધુ પાગલ છે. આમ છતાં એક વાત આપને પૂછું ? મોક્ષરૂપી કાર્યનું જેમ ધર્મ એ કારણ છે તેમ કામરૂપી કાર્યનું અર્થ એ કારણ છે. કારણના સેવન છતાં કાર્ય જો નિષ્પન્ન ન થાય તો મનમાં સહેજે પ્રશ્ન ઊઠે કે તો પછી કારણસેવનની જરૂર જ શી છે? ધર્મસેવન કરતાં જ રહીએ અને મોક્ષ નજીક આવી રહ્યાનું પણ ન દેખાતું હોય તો મનમાં વેદના તો થાય જ ને કે “ધર્મસેવનનો અર્થ જ શો છે ?'
એ જ ન્યાયે સંપત્તિના ભરપૂર સંગ્રહ પછી પણ વિષયસુખો જો ભોગવવાના જ ન હોય તો પછી એ સંપત્તિના અર્જન પાછળના પુરુષાર્થનો અર્થ જ શો છે? સંપત્તિનો માત્ર સંગ્રહ જ કરતા રહેવાનો અર્થ શો છે? ‘ખાઓ, પીઓ અને જલસા કરો” આ લક્ષ્યને આંબવા તો માણસ પૈસા પાછળ દોડે છે અને પર્યાપ્ત પ્રમાણમાં પૈસા ભેગા થઈ ગયા પછી પણ જો માણસ નથી ખાવા તૈયાર, નથી પીવા તૈયાર અને નથી જલસા કરવા તૈયાર તો પછી માણસ પૈસા પાછળ આટલો બધો બહાવરો થઈને દોડતો શા માટે રહે છે ? જય, તારો આ પ્રશ્ન એકદમ વાજબી છે. જવાબ એનો એ છે કે માણસ પોતાના સુરક્ષિત ભવિષ્ય અંગે એકદમ શંકિત પણ છે અને ચિંતિત પણ છે. એને વિશ્વાસ જ નથી કે આજે હાથમાં રહેલ બધો જ પૈસો વાપરી દઈશ તો ય આવતીકાલે નવો પૈસો હું પુનઃ અર્જિત કરી જ શકીશ. ટૂંકમાં, સુરક્ષિત ભવિષ્યની ચિંતા જ માણસને પૈસા વાપરતા, વેડફતા અને વાવતા અટકાવી રહી છે !