________________
મહારાજ સાહેબ, “અનુરાગ' નામના ત્રીજા વિકલ્પની અસરકારતા અને મહાનતાની આપે દર્શાવેલ વાતો મગજમાં એકદમ જડબેસલાક ગોઠવાઈ તો ગઈ છે અને એ વિકલ્પને આત્મસાત કરવાની દિશામાં પા પા પગલી માંડવાનું વિચારી પણ લીધું છે છતાં ઇચ્છું છું કે ‘જ્ઞાન'ના ચોથા વિકલ્પ પર પણ આપ કંઈક પ્રકાશ પાથરો. જય, બાબાની આઇસક્રીમની માંગ સામે ચૉકલેટ આપી દેવાની વાત નહીં પણ શરદીની તકલીફમાં આઇસક્રીમ કેટલો ખતરનાક બની શકે છે એની સમજણ આપી દેવાની વાત એનું જ નામ ‘શાન. વાસનાની સામે ઉપાસનાની વાત નહીં, રાગની સામે અનુરાગની વાત નહીં, અધમના સ્થાને ઉત્તમને ગોઠવી દેવાની વાત નહીં પણ વાસનાના કદરૂપા સ્વરૂપને સમજી લેવાની વાત, રાગની ભયંકરતાને આત્મસાત્ કરી લેવાની વાત, અધમની ખતરનાકતાને જાણી લેવાની વાત, એનું નામ ‘જ્ઞાન.” આ વિકલ્પ આત્મસાત થતાંની સાથે જ હૃદયમાં વાસનાના આવેગો ઊઠવાના શાંત થવા લાગે, વિજાતીય સહવાસની અને વિજાતીય સ્પર્શની વૃત્તિમાં કડાકો બોલાવા લાગે. મન ગલત કંપનોથી મુક્ત થવા લાગે. વાસના મુક્તિ માટેનો સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ વિકલ્પ આ જ હોવા છતાં જય, તને એટલું જ કહીશ કે મારા માટે અને તારા માટે
આદર્શ તરીકે આ વિકલ્પ બરાબર છે પણ અમલમાં લાવવા માટેનો વિકલ્પ તો એક માત્ર “અનુરાગ” જ છે. કારણ ? આત્મદ્રવ્ય આપણું નાજુક પણ છે અને ભાવુક પણ છે. નાજુક છે એટલે? લાગણીશીલ છે અને ભાવુક છે એટલે? નિમિત્તવાસી છે. આ સ્થિતિમાં “જ્ઞાન'નો વિકલ્પ આત્મા માટે જોખમી પુરવાર થાય એવી પૂરી શક્યતા છે. મીણને પીગળી જતા બચવું હોય તો એણે આગથી દૂર જ રહેવું પડે. પાણીએ નીચે ઊતરી જતા અટકવું હોય તો એણે ઢાળથી દૂર જ રહેવું પડે. નબળી છાતીવાળાએ શરદીથી બચવું હોય તો એણે પવનથી દૂર જ રહેવું પડે. બસ, એ જ ન્યાયે મારે અને તારે ગલતના શિકાર બનતા બચવું હોય તો એવાં નિમિત્તોથી દૂર જ રહેવું પડે. ઉપસંહારમાં એટલું જ કહીશ કે ભોગમાં નિયંત્રણ, દમનમાં વિવેક, રૂપાંતરણમાં અનુરાગ અને આદર્શમાં જ્ઞાન, તું ફાવી જઈશ.