________________
મહારાજ સાહેબ, ‘ભૂખ અને તરસની જેમ વાસના પણ કુદરતી હાજત જ છે'ની વરસોથી મનમાં ઘર કરી ગયેલ ભ્રમણાને આપે જે સહજતાથી તોડી નાખી એ બદલ આપનો ઉપકાર અને આભાર હું માનું એટલો ઓછો છે. શરીરને ભોજન આપવું જ પડે પણ મનમાં ઊઠતી વાસનાને એનું ભણ્ય આપવું જ પડે એ બિલકુલ જરૂરી નથી. આ વાત સમજાવી દઈને સાચું કહું તો આપે મારા મનમાં ચાલતા વર્તમાનના વિજાતીય પ્રત્યેના આકર્ષણમાં સારો એવો કડાકો બોલાવી દીધો તો છે જ છતાં એક પ્રશ્ન આપને પૂછું ? ‘ભોગ'નો પ્રથમ નંબરનો વિકલ્પ વાસના માટે જો ખતરનાક છે તો ‘દમન'નો બીજા નંબરનો વિકલ્પ પણ વાસના માટે જોખમી જ પુરવાર થશે એવું નહીં બને? કારણ કે વરસોથી આ વાત હું સાંભળતો આવ્યો છું કે સ્વિંગને જેમ જેમ દબાવતા જશો તેમ તેમ એ બમણા જોરથી ઊછળતી જશે, બસ, એ જ ન્યાયે મનમાં જાગતી ઇચ્છાને તમે જેમ જેમ દબાવતા જશો તેમ તેમ એ બમણા જોરથી ઊછળતી જશે. માટે ઇચ્છાને દબાવતા રહેવાની ભૂલ ક્યારેય કરશો નહીં. આ અંગે આપ શું કહો છો? જય, તારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તને જ એક પ્રશ્ન પૂછવા માગું છું.
દરેક માણસ પોતાના મનમાં જાગતી પ્રત્યેક ઇચ્છાને અમલી બનાવતો જ જાય તો તને લાગે છે ખરું કે એ પછી ય આ ધરતી શિષ્ટ પુરુષને રહેવા લાયક બની જ રહે? તારા ઘરે આવતા તારા મિત્રની નજર તારી બહેન પર પડે અને એના મનમાં તારી બહેનના શરીરને ભોગવી લેવાની ઇચ્છા પેદા થઈ જાય તો તારા મિત્રની એ ઇચ્છાને સફળ બનાવી દેવામાં તારી સંમતિ ખરી ? કો'ક કારણસર તારે કો'કની સાથે દુશમનાવટ ઊભી થઈ જાય અને એની હત્યા કરી નાખવા તારા હાથ સળવળવા લાગે તો તારી એ ઇચ્છાને તારે અમલમાં મૂકી જ દેવાની, એમ ? જય, લખી રાખજે તારા દિલની દીવાલ પર કે આ જગત કોઈ પણ કાળે જો રહેવાલાયક બન્યું રહે છે તો એનો તમામ યશ કેવળ અને કેવળ ‘દમન' ના ફાળે જ જાય છે. આ તો સંસાર છે. ગલત નિમિત્તોનો તો અહીં રાફડો ફાટ્યો છે. કઈ પળે કઈ વ્યક્તિના મનમાં બેઠેલ ‘પશુ’ બહાર ન આવી જાય એ પ્રશ્ન છે. આ સ્થિતિમાં ‘દમન'નો વિકલ્પ જો હાથવગો ન હોય અને અમલમાં ન હોય તો શીલ-સદાચાર-સંસ્કાર-મર્યાદાસુરક્ષા વગેરે તમામેતમામ પરિબળોની સ્મશાનયાત્રા નીકળીને જ રહે એ શંકા વિનાની વાત છે. જય, દમનનો અર્થ જ છે શરમ. આંખમાંથી શરમનું જળ નીકળી ગયા પછી માણસ સરળ કે સજ્જન રહી શકશે ખરો?
પ૯