SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૭૦ જૈન રામાયણ લીધો. પ્રસન્ન કીર્તિના એક લાખ સુભટોમાંથી અડધા તો ખપી ગયા હતા. અડધા સૈન્ય પ્રસન્નકીર્તિને ઘેરાયેલો જોઈ, રાક્ષસસૈન્ય પર પ્રચંડ ધસારો કરી દઈ, સ્વયંભૂને ચિંતામાં મૂકી દીધો. પણ એ ગાંજ્યો જાય એવો ન હતો. તેણે પ્રસન્નકીર્તિને જીવતો પકડી લેવા વ્યુહ રચ્યો. પ્રસન્નકીર્તિ અને સ્વયંભૂના રથો સામસામા આવી ગયા હતા. પ્રસન્નકીર્તિએ તીરોનો એકધારો મારો ચલાવી સ્વયંભૂને ઢાંકી દીધો. સ્વયંભૂએ ગદાનો પ્રહાર કરી, પ્રસન્નકીર્તિના રથનાં ચક્રો તોડી નાંખ્યાં; એ જ સમયે પ્રસન્નકીર્તિ ઊછળ્યો અને સ્વયંભૂના રથમાં જઈ એક જ ગદાપ્રહારે સ્વયંભૂનું મસ્તક ફોડી નાંખ્યું. રાક્ષસ સૈન્યમાં હાહાકાર મચી ગયો. વાનરસૈન્ય હર્ષથી નાચી ઊઠ્યું. નલ અને હસ્તનું યુદ્ધ તથા નીલ અને પ્રહસ્તનું યુદ્ધ ત્રીજો પ્રહર વિતાવી રહ્યું હતું. ક્ષણમાં નલનો પરાજય અને હસ્તનો વિજય તો ક્ષણમાં હસ્તનો પરાજય અને નલનો વિજય દેખાતો હતો. તીરોની સામસામી રમઝટ અને ગદાઓના પ્રચંડ પ્રહારો, ત્રિશૂળનો દાવો અને ખડગના ખેલ, શસ્ત્રોની અભૂતપૂર્વ હરીફાઈ ચાલી. નીલ અને પ્રહસ્ત વચ્ચે પણ એવો જ દારુણ સંગ્રામ જામ્યો હતો. કોઈ એકબીજાને મચક આપતા ન હતા. કા હું નહીં, કા તું નહીં કરતા નલે હસ્તના રથના ફુરચા ઉડાડી દીધા. ખેલાડી હસ્તે તરત જ બીજો રથ પકડીને નલનો મુગટ ઉડાડી દઈ, તેના રથના અશ્વોને ભૂશરણ કરી દીધા. નલે કાળકૃતાંતનું સ્વરૂપ ધારણ કર્યું. તે કાળમુખ ખડગને લઈ, હસ્તના રથ પર કૂદી પડ્યો અને ખડગના એક ઝટકે હસ્તના શિરને કાપી નાંખ્યું. એ જ સમયે નીલે પણ પ્રહસ્તની સાથે છેલ્લી લડાઈ લડી લેવા માંડી. પ્રહસ્તના રથની ચારેબાજુ પોતાના રથને પવનવેગે ઘુમાવતા, નીલે પ્રહસ્ત પર તીરોનો મારો ચલાવ્યો. પ્રતિપક્ષી તીરોથી પ્રહસ્ત પોતાની રક્ષા કરતો હતો, ત્યાં અચાનક જ નીલે નિશાન તાકીને, પ્રહસ્તના વક્ષસ્થળ પર ત્રિશૂળ માર્યું, ત્રિશૂળ પ્રહસ્તનું વક્ષસ્થળ ચીરી નાંખ્યું. પ્રહસ્ત મરાયો. હસ્ત અને પ્રહસ્તનો વધ રાક્ષસસૈન્ય માટે કારમો ઘા હતો. વાનરસૈન્ય (વાનરદ્વીપના સૈન્ય) વિજયનાં વાજિંત્રો વગાડ્યાં અને રાક્ષસસૈન્યની ભારે હાંસી ઉડાવી. નલ અને નીલને વાનર સુભટો માથે ઊંચકીને, શ્રીરામ પાસે લઈ ગયા. શ્રીરામે નલ-નીલને ખૂબ ધન્યવાદ આપ્યા. ત્યાં હનુમાન અને પ્રસન્નકીર્તિ પણ આવી પહોંચ્યા. શ્રી રામે એ બંને વીરોને પોતાના બાહુમાં જકડી લઈ કહ્યું. તમે સહુ તો મારા સૈન્યનાં કિંમતી રત્નો છો. તમે અવશ્ય વિજય મેળવશો.” For Private And Personal Use Only
SR No.008901
Book TitleJain Ramayana Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy