________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરુણ પર વિજય
૨૬૫ રથો ગોઠવાઈ ગયા હતા. તેમની પાછળ મહેન્દ્રપુરીનો યુવરાજ પ્રસન્ન કીર્તિ પોતાના ચુનંદા દસ હજાર ઘોડેસવારોની સાથે ઊભો હતો. તેની બાજુમાં લંકાપતિના ખાસ માનીતા સેનાપતિઓ ખર અને દૂષણ પોતાના કટ્ટર દુશ્મનનો મુકાબલો કરવા રથમાં ગોઠવાયા હતા.
જ્યારે થોડેક દૂર જ્યાં વરુણનો મુખ્ય સેનાપતિ યોગેશ પચાસ હજારના સૈન્ય સાથે ઊભો હતો, તેની સામે જ સૂર્ય જેવો તેજસ્વી હનુમાન પચાસ હજાર ચુનંદા સૈનિકોની આગેવાની લઈને ઊભો હતો.
ઉદયાચલ પર સહસ્રરશ્મિ પ્રગટ થયો. અને બંને પક્ષોમાં યુદ્ધનો આરંભ કરવા માટે વાજિંત્રો રણકી ઊઠ્યાં. ઇન્દ્રજિતે ઇષ્ટદેવનું સ્મરણ કરીને તીર છોડ્યું. તે સીધું પુંડરીકના કાન પાસે થઈને પસાર થઈ ગયું. પુંડરીકે સખત વેગથી સતત દસ તીર છોડ્યાં. ઇન્દ્રજિતે દસેદશ તીરોને વચમાં જ પૂરાં કરી નાખ્યાં અને એક ક્ષણમાં પચીસ તીર છોડીને પુંડરીકને મૂંઝવી નાંખવા પોતાના રથને આગળ ધપાવ્યો, પરંતુ ત્યાં તો પુંડરીકે દસ-દસ તીરો છોડીને ઇન્દ્રજિતના રથના અશ્વોને આગળ વધતા અટકાવી દીધાં.
બીજી બાજુ રાજીવે મરણિયા થઈને લંકાના સૈન્યને ભૂશરણ કરવા માંડ્યું. એક એક તીરથી તેણે એક એક સૈનિકને ભૂમિ પર ઢાળવા માંડ્યો. મેઘવાહને રાજીવ પર તીરોની વર્ષા કરવા માંડી, પરંતુ રાજીવે તેને ગણકાર્યા વિના મેઘવાહન પર દસ તીર છોડીને મેઘવાહનના ધનુષ્યને તોડી નાંખ્યું. મેધવાહને બીજુ ધનુષ્પ લીધું અને રાજીવના રથના અશ્વોને ઘાયલ કર્યા, ત્યાં તો મેઘવાહનની બંને બાજુએ ખર અને દૂષણ આવી પહોંચ્યા અને રાજીવ પર સખત મારો ચલાવ્યો, પરંતુ રાજીવ અતિ વીરતાપૂર્વક ઝઝૂમી રહ્યો હતો. તેણે દસ તીરોથી ખરના મુગટને ઉડાવી દીધો અને દસ તીરોથી દૂષણના કવચને ભેદી નાંખ્યું અને પચાસ તીરોની હારમાળા છોડી મેઘવાહનના અશ્વોને ભૂશરણ કરી દીધા! મેઘવાહને દૂષણના રથમાં સ્થાન લીધું.
પુંડરીકે ઇદ્રજિતને હંફાવવા માંડ્યો, જ્યારે વરુણના સૈન્ય લંકાના સૈન્યની ખબર લઈ નાંખી. હજુ તો પ્રથમ પ્રહર પૂરો નહોતો થયો ત્યાં તો લંકાનું પહેલી હરોળનું હજારોનું સૈન્ય નષ્ટભ્રષ્ટ થઈ ગયું. પુંડરીકે અચાનક ધસારો કર્યો અને લંકાના સૈન્યને એક કોશ દૂર ધકેલી દીધું. વરુણના સૈન્યનો જુસ્સો પૂર્ણિમાની સમુદ્ર-ભરતીની જેમ વધતો હતો, જ્યારે લંકાનું સૈન્ય નિરાશા તરફ ઢળી રહ્યું હતું.
For Private And Personal Use Only