________________
પ્રેમ
૪૯
પ્રેમ
અભેદતા હોય. એટલે જગત જોડે અભેદતા ક્યારે કહેવાય ? કે પ્રેમસ્વરૂપ થાય તો. આખા જગત જોડે અભેદતા કહેવાય. એટલે ત્યાં આગળ બીજું કશું દેખાય નહીં, પ્રેમ સિવાય.
આસક્તિ ક્યારે કહેવાય છે ? કે જ્યારે કોઈ સંસારી ચીજ લેવી હોય ત્યારે. સંસારી ચીજનો હેતુ હોય ત્યારે. આ સાચા સુખને માટે તો ફાયદો થશે, એનો વાંધો નહીં. અમારી ઉપર જે પ્રેમ રહે છે તેનો વાંધો નહીં. એ તમને હેલ્પ કરશે. બીજે આડી જગ્યાએ વપરાતો પ્રેમ ઉઠી જશે.
પ્રશ્નકર્તા : એટલે અમારામાં જાગતો ભાવ એ આપના હૃદયના જ પ્રેમનું પરિણામ છે એમ જ ?
દાદાશ્રી : હા, પ્રેમનું જ પરિણામ છે. એટલે પ્રેમના હથિયારથી જ ડાહ્યા થઈ જાય. મારે વઢવું ના પડે.
હું, લડવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે ‘હું પ્રેમથી જગતને જીતવા માગું છું.’
કારણ કે હથિયાર મેં નીચે મૂકેલાં છે. જગત હથિયારને લઈને એ સામાં થાય છે. ક્રોધ-માન-માયા-લોભના એ હથિયાર મેં નીચે મૂકેલાં છે. એટલે હું વાપરતો નથી, હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ડિપ્રેસ ન થઉં ને હાર ચડાવો તો એલીવેટ ન થઉં, એનું નામ પ્રેમ કહેવાય. સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ શુદ્ધ પ્રેમમાં નહીં.
મનુષ્યો તો રૂપાળા હોય તો ય અહંકારથી કદરૂપા દેખાય. રૂપાળા ક્યારે દેખાય ? ત્યારે કહે, પ્રેમાત્મા થાય ત્યારે. ત્યારે તો કદરૂપોમ રૂપાળો દેખાય. શુદ્ધ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાળો દેખાવા લાગે. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.
આ તો કુદરતનો ‘લૉ’ છે, નેચરલ લૉ ! કારણ કે પ્રેમ એ ખુદ પરમાત્મા છે.
પ્રેમ ત્યાં જ મોક્ષમાર્ગ ! એટલે જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. આપણને ના આવડે, બોલતાંય ના આવડે તોય એ પ્રેમ રાખે તો જ સાચું.
એટલે એક પ્રમાણિકપણું અને બીજું પ્રેમ કે જે પ્રેમ વધઘટ ના થાય. આ બે જગ્યાએ ભગવાન રહે છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.
આખું ‘રિલેટિવ ડિપાર્ટમેન્ટ’ ઓળંગી જાય ત્યારે નિરાલંબ થાય, ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. ‘જ્ઞાન’ ક્યાં સાચું હોય ? જ્યાં પ્રેમથી કામ લેવામાં આવતું હોય ત્યાં અને પ્રેમ હોય ત્યાં લેવડદેવડ ના હોય. પ્રેમ હોય ત્યાં એકતા હોય. જ્યાં ફી હોય ત્યાં પ્રેમ ના હોય. લોક ફી રાખે છેને, પાંચ-દસ રૂપિયા ? કે “આવજો, તમારે સાંભળવું હોય તો, અહીં નવ રૂપિયા ફી છે” કહેશે. એટલે ધંધો થઈ ગયો ! ત્યાં પ્રેમ ના હોય. રૂપિયા હોય ત્યાં પ્રેમ ના હોય. બીજું, જ્યાં પ્રેમ ત્યાં ટ્રિક ના હોય ને જ્યાં ટ્રિક ત્યાં પ્રેમ ના હોય.
જયાં સૂઈ ગયા ત્યાંનો જ આગ્રહ થઈ જાય. ચટાઈમાં સૂતો હોય તો તેનો આગ્રહ થઈ જાય ને ડનલોપના ગાદલામાં સૂતો હોય તો તેનો આગ્રહ થાય. ચટાઈ પર સૂવાના આગ્રહવાળાને ગાદલામાં સૂવાડો તો તેને ઊંઘ ના આવે. આગ્રહ તે જ વિષ છે અને નિરાગ્રહતા એ જ અમૃત છે. નિરાગ્રહીપણું જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી જગતનો પ્રેમ સંપાદન ના થાય. શુદ્ધ પ્રેમ નિરાગ્રહનાથી પ્રગટે છે અને શુદ્ધ પ્રેમ તે જ પરમેશ્વર છે.
એટલે પ્રેમસ્વરૂપ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જો કાયદા ખોળશો તો પ્રેમસ્વરૂપ થવાય નહીં ! ‘કેમ મોડા આવ્યા ?” કહે એ પ્રેમસ્વરૂપ ના કહેવાય અને પ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે. હા, તમે આસક્તિવાળા તો તમારું કોણ સાંભળે ? તમને પૈસા જોઈએ છે, તમારે બીજી સ્ત્રીઓ જોઈએ છે, એ આસક્તિ કહેવાય ને ? શિષ્યો ભેગા કરવા એય આસક્તિ કહેવાય ને !