SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ નિજદોષ દર્શનથી. નિર્દોષ ! નિજદોષ દર્શનથી... નિર્દોષ ! તો થોડોક લાભ મળે. એમાં સંસારી લાભ મળે ને આમાં ય થોડો લાભ મળે ! બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ (જ્ઞાનીની અને મહાત્માઓની સેવા કરવી એવો યજ્ઞ) માંડવો પડશે અથવા સ્વ-પુરુષાર્થ કરવો પડશે. નહીં તો આમ તેમ દર્શન કરી જાવ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે. આપણી દ્રઢ ઇચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે તો તેમની કૃપા થકી આજ્ઞામાં રહેવાય. આજ્ઞા પાળે ત્યારે આજ્ઞાની મસ્તી રહે. જ્ઞાનની મસ્તી કોને રહે કે જે બીજાને ઉપદેશ આપતો હોય. આ વિજ્ઞાન તો રોકડિયું છે, તરત ફળ આપનારું છે. તમે એક કલાક મારી આજ્ઞામાં રહો તો શું થાય ? સમાધિ થઈ જાય ! વીતરાગભાવે વિનમ્રતા તે કડકાઈ. પ્રશ્નકર્તા : સત્સંગમાં પેલી ફાઈલોનો સમભાવે નિકાલની વાત નીકળેલી, જો કે વિનમ્રતા દાખવીએ અને ચીકણી ફાઈલ વધારે ઉછળતી હોય તો ત્યાં વિનમ્રતા દેખાડવાની જરૂર નથી. ઊલટો એ વધારે અવળો ચાલે. દાદાશ્રી : એવી કંઈ જરૂર હોતી નથી પણ એ જવાબ કાઢતાં ના આવડે, એ લેવલ કાઢવું મુશ્કેલ છે. પ્રશ્નકર્તા : આ કેવી રીતે લેવલમાં રાખવું ? દાદાશ્રી : એ તો દરેક માણસ એમ જ કહે, સામાની જ ભૂલ કાઢે ને ! ભૂલ પોતાની જ છે, પણ તે એમને મેં કહ્યુંને, કે વિનમ્રતા નહીં કરવાની. વીતરાગ ભાવે એની જોડે રહેવાનું. કઠણે ય વીતરાગ ભાવ હોવો જોઈએ. પ્રશ્નકર્તા: પણ એ રહેવું મુશ્કેલ ને ? એ કઈ રીતે રહી શકાય ? દાદાશ્રી : સરસ રીતે રહી શકે. આપણો દોષ ના હોય તો બધું ય રહેવાય. આપણાં દોષ છે ત્યાં કશું રહેવાય નહીં. મૂળમાં દોષ જ આપણો હોય છે. જે બીજા ઉપર દોષ ઢોળવા ફરે છે એનો જ દોષ હોય છે. આ તો પોતાની સેફસાઈડ ખોળે છે ! આ બીજાં તો આપણું જ પ્રતિબિંબ છે. કોઈ આપણને કશું કહે નહીં. આપણા જ ગુનાથી કહે છે. દરેક ટાઈમે તમારો જ ગુનો હોય છે અને તે તમારો ગુનો સમજાતો નથી એટલે પારકાંનો ગુનો જુઓ છો. અને પારકાંનો ગુનો જોવો એ મોટામાં મોટી અજ્ઞાનતા છે ! અમે આટલો વખત કહે કહે કરીએ છીએ કે આખું જગત નિર્દોષ છે ને પછી દોષ કાઢીએ તો મુર્ખ ના કહેવાઈએ ? તને નથી લાગતું કે આ થિયરી વીતરાગની છે ? પ્રશ્નકર્તા : એક્કેક્ટ વીતરાગની થિયરી ! દાદાશ્રી : પોતાના દોષ જોનારાં માણસ જીતીને ગયેલાં, મોક્ષે ચાલ્યા ગયેલા. પોતાના દોષ વગર કશું કોઈ કહે જ નહીં આપણને ! એટલે જાગૃત રહેજે. પ્રશ્નકર્તા: આપના શબ્દો તરત જ ક્રિયાકારી થઈને ઊભા રહેશે. દાદાશ્રી : આ શબ્દો બધા ક્રિયાકારી જ હોય, આપણે જો મહીં ઘૂસવા દઈએ તો. ઘૂસવા ના દઈએ તો શું થાય ? જ્ઞાત' પ્રાપ્તિ પછીની પરિસ્થિતિ ! સાપ, વીંછી, સિંહ, વાઘ, દુશમન કોઈ પણ દોષિત તમને ના દેખાય, એમનો દોષ નથી એવું દેખાય, એ દ્રષ્ટિ થઈ ગઈ એટલે થઈ રહ્યું. તે એ દ્રષ્ટિ તમને મળી ગયેલી છે. તમને આ દુનિયામાં કોઈ દોષિત દેખાય નહીં. પ્રશ્નકર્તા : એ દ્રષ્ટિ મળી ગયેલી છે. દાદાશ્રી : પછી અહીં જ મોક્ષ સુખ ભોગવે. અહીં આગળ આનંદ જ હોય. કોઈનો દોષ દેખાયો ત્યાં સુધી દુ:ખ રહે. બીજાના દોષ દેખાતા બંધ થયા એટલે છૂટકારો. પ્રશ્નકર્તા: કોઈકવાર ગુસ્સો થઈ જાય વાઇફ પર, એ દોષ દેખાયો કહેવાય ? દાદાશ્રી : પણ ‘તમને’ ગુસ્સો ના થાય ને ?
SR No.008862
Book TitleNijdosh Darshan Thi Nirdosh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size61 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy