________________
ગુરુ-શિષ્ય
૪૮
દાદાશ્રી : આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છેને તમારે ? તમારે આત્મજ્ઞાનની જ જરૂર છે ને ? તો એને માટે શક્તિપાતની કંઈ જરૂર નથી. શક્તિ બહુ ડીમ (ખલાસ) થઈ ગઈ છે ? તો વિટામિન લો !!
પ્રશ્નકર્તા : ના, ના. ગુરુ શક્તિપાત કરે છે એ શું ક્રિયા છે ?
દાદાશ્રી : આમ પાંચ ફૂટનો વેંકડો હોય ને કૂદી ના જવાતો હોય, વારેઘડીએ પાછો પડતો હોય, ત્યારે આપણે કહીએ, “અરે કૂદી જા, હું છું તારી પાછળ.” તો એ કૂદી જાય પાછો !! એટલે ગુરુ આમ હિંમત કરાવડાવે. બીજું તો શું કરે ! હિંમત ભાંગી ગઈ છે તમારી ?!
પ્રશ્નકર્તા : ગુરુ વગર તો હિંમત ભાંગી જ જાય ને !
દાદાશ્રી : તો કોઈ ગુરુને કહેજો, એ હિંમત આપશે. અને ગુરુ રાજી ના હોય તો મારી પાસે આવજો. ગુરુ રાજી રહે તો મારી પાસે ના આવશો. રાજીપો જ લેવાનો છે આ જગતમાં ! કારણ કે એમને તો, ગુરુને શું લઈ જવું છે ?! ફક્ત તમને કેમ કરીને સુખ પ્રાપ્ત થાય, કેમ તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવો એમનો હેતુ હોય.
પ્રશ્નકર્તા : ઘણાં ગુરુ શક્તિપાત કરે છે એટલે આ પ્રશ્ન પૂછયો છે.
દાદાશ્રી : એ બરોબર છે. એ કરે છે તે હું ય જાણું છું પણ એ જરૂર ક્યાં સુધી છે ? એ ગુરુઓ શક્તિપાત કરીને પછી ખસી જાય છે, ઠેઠ સુધી સાથ નથી આપતા. એવું શું કામનું ?! સાથ આપે એ ગુરુ આપણા.
પ્રશ્નકર્તા : ચમત્કારી ગુરુ હોય તો ત્યાં જવું ?
દાદાશ્રી : જેને કંઈ લાલચો હોય તેણે ત્યાં જવું. તે બધી લાલચો આપણી પૂરી કરી આપે. જેને વાસ્તવિક જોઈતું હોય તેને ત્યાં જવાની જરૂર નહીં. ચમત્કારો કરીને માણસોને સ્થિર કરે છેને, પણ સાચા બુદ્ધિશાળીઓને તો આવું દેખે એટલે એને વિકલ્પ ઊભો થાય !
ગુરુ ક્યાં સુધી પહોંચાડે ?
ગુરુ-શિષ્ય બે રસ્તા છે. એક પગથિયે પગથિયે ચડવાનો રસ્તો, ક્રમે ક્રમે, ક્રમિકમાર્ગ અને આ અક્રમમાર્ગ છે, આ લિફટમાર્ગ છે. એટલે પછી આમાં બીજું કશું કરવાનું નહીં. પેલું ક્રમે ક્રમે, તેમાં જેટલા ગુરુ કર્યા હોય એટલા ગુરુ આપણને ચઢાવે. પછી પાછા ગુરુ ય આગળ વધતાં જાય ને આ ય વધતાં જાય. એમ કરતાં કરતાં ઠેઠ પહોંચે. પણ પહેલી દ્રષ્ટિ બદલાય ત્યાંથી એ સાચા ગુરુ અને સાચો શિષ્ય. દ્રષ્ટિ ના બદલાય ત્યાં સુધી બધું બાળમંદિર ! હા, ગુરુ પર મોહ હોય ખરો, પણ આસક્તિ ના હોવી જોઈએ. આસક્તિ હોય એ તો બહુ જ ખોટું કહેવાય. આસક્તિ તો ત્યાં ચાલે જ નહીં ને !
પ્રશ્નકર્તા : ગુરુ ઉપર મોહ હોય તો એ અટકાવે કે નહીં ?
દાદાશ્રી : મોહ તો ફક્ત ‘મારું કલ્યાણ કરે છે’ એટલા પૂરતું જ ! કોઈ કહેશે, ‘ગુરુમાં અભિનિવેષ હોય તો ?” તેનો વાંધો નહીં. એ તો સારું. ગુરુ જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી તો પહોંચાડે. આપણે જેને ભજીએ, તે જ્યાં સુધી ગયા ત્યાં સુધી આપણને પહોંચાડશે.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી પહોંચ્યા હોય ત્યાં સુધી જ લઈ જઈ શકે ?
દાદાશ્રી : હા, આપણા શાસ્ત્રો એટલું જ કહે છે કે જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી પહોંચાડશે. પછી આગળ બીજા મળી આવશે. અને ગુરુ તો એ જેટલા પગથિયાં ચડ્યા હોય, એટલા પગથિયાં આપણને ચઢાવી દે એ દશ પગથિયાં ચઢ્યા હોય અને આપણે સાત પગથિયાં ચઢ્યા હોય તો આપણને દસ સુધી ચઢાવી દે, અને હજુ તો કેટલાય, કરોડો પગથિયાં ચઢવાના છે. આ કંઈ થોડા ઘણા પગથિયાં નથી !
ગુરુ કરતાં ચેલો સવાયો... પ્રશ્નકર્તા: ગુરુ પોતે ઠેઠ પહોંચેલા ના હોય, છતાં શિષ્યનો એટલો ભક્તિભાવ હોય તો એ ગુરુ કરતાં ય આગળ ન પહોંચી જાય ?!
દાદાશ્રી : હા, પણ કો'ક જ ! બધા ન પહોંચે. એને આગળ બીજા ગુરુ કરવા પડે. કો'ક એવો હોશિંયાર હોય ને, તો એનું મગજ એ બાજુ ફરે તો માર્ગે ચઢી જાય, એ ચાલીને ઠેઠ જતો રહે. પણ તે અપવાદ જ !