SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આપ્તવાણી-૨ સંયોગ વિજ્ઞાન જગતમાં ‘શુદ્ધાત્મા’ અને ‘સંયોગ’ બે જ વસ્તુ છે. બહાર ભેગા થાય તે સંયોગ, હવા ઠંડી લાગે. વિચારો આવે એ સંયોગ, પણ બુદ્ધિથી આ ખરાબ છે અને આ સારું છે તેમ દેખાય, અને તેનાથી રાગ-દ્વેષ કર્યા કરે છે. જ્ઞાન શું કહે છે કે, ‘બંને સંયોગ સરખા જ છે. સંયોગથી તું પોતે મુક્ત જ છે, તો પછી ડખો શું કામ કરે છે ? આ સંયોગ, તને પોતાને શું કરવાનો છે ?” આ તો સંયોગ છે તે કશું જ કરનાર નથી, પણ બુદ્ધિ ડખો કરાવે છે. બુદ્ધિ તો સંસારનું કામ કરી આપે. બુદ્ધિ મોક્ષે ના જવા દે, જ્યારે જ્ઞાન મોક્ષે લઇ જાય. દુનિયામાં વપરાય છે એ બુદ્ધિ સમ્યક્ નથી, એ તો વિપરીત બુદ્ધિનું ચલણ છે. પોતાના હિતાહિતનું ભાન નથી તેથી બધે ઠોકાઠોક ચાલે છે ને ? અને સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયા પછી બુદ્ધિ સમ્યક્ થાય, હિતાહિતનું ભાન રહે, સમ્યક્ બુદ્ધિ શું કહે કે, આ સંયોગ આવ્યો તે આપણે ચૂપ રહો, નહીં તો માર પડશે, અને વિપરીત બુદ્ધિ તો શું કરે કે એવે વખતે ચૂપ તો ના રાખે, પણ ઉપરથી માર ખવડાવે. વિપરીત બુદ્ધિની શેવાળ જામી ગઇ છે, તે તેને જરા દેખાડવું પડે તો જરા અજવાળું થાય ! અમારે તો આ વિપરીત બુદ્ધિની બધી જ શેવાળ નીકળી ગઇ છે ! આ બુદ્ધિએ તો જાતજાતના સંયોગના ભેદ પાડ્યા. કોઇ કહે કે, આ સારું, ત્યારે કોઇ કહેશે કે, ‘આ ખરાબ !” એકને જલેબીનો સંયોગ ગમે તો તેને એ સારું કહે ને બીજાને એ ના ગમે તો એને એ ખરાબ કહે. એમાં પાછો અભિપ્રાય આપે કે, આ સારું ને આ ખરાબ, તે પછી રાગ-દ્વેષ ઊભા થઇ જાય, એથી તો સંસાર ઊભો છે. આ નાના છોકરાને હીરો અને કાચ આપ્યો હોય તો એ કાચ રાખે અને બાપ હીરો લઇ લે, કારણકે બુદ્ધિથી બાપ હીરો લે. બુદ્ધિથી તો સંસારફળ મળે એવું છે. ખરી રીતે સંસારમાં બુદ્ધિનો વપરાશ હિતાહિત પૂરતો હોવો જોઇએ. નોકરીમાં ક્યાં ક્યાં જમા કરવાનું, ક્યાં ક્યાં ઉધાર કરવાના, શેઠનો ઠપકો ના મળે એવું કરવાનું; આ જમવાની થાળીમાં જીવડું પડી ગયું હોય તો તે કાઢવાનું, એવું બુદ્ધિ બતાવે. આટલા પૂરતો જ બુદ્ધિનો વપરાશ હોવો ઘટે, અને તેય જરૂર પડે ત્યારે બુદ્ધિની લાઇટ સહજ રીતે થઇ જ જાય ને સંસારનું કામ થઇ જાય. પણ આ તો બુદ્ધિનો ડખો રાતદા'ડો થાય તો શું થાય ? અમને કોઇ કહે કે, 'દાદા, તમારામાં અક્કલ નથી. અને કોઈ બીજો કહે કે, ‘દાદા તો જ્ઞાની પુરુષ છે’ તો અમને એ બેઉ સંયોગ સરખા જ લાગે. અમે તો ‘અબુધ’ છીએ માટે એ બન્ને સંયોગ અમને સરખા લાગે છે. અને બુદ્ધિ શું કહે ? દાદા તો જ્ઞાની પુરુષ છે, એ સંયોગ ગમે, અને દાદામાં અક્કલ નથી, એ ના ગમે. માટે અમે તો પહેલેથી જ અબુધ થઇ ગયેલા. આ તો સંયોગ માત્ર છે. તે કોઇ વખત બોલશે કે, ‘દાદા જ્ઞાની છે' ને કોઇ વખતે બોલશે કે, ‘દાદામાં અક્કલ નથી’ અને તેય પાછું છે ‘વ્યવસ્થિત' ! ‘વ્યવસ્થિત' તને કોઇ પણ સંયોગમાંથી છોડશે નહીં. એમાં બુદ્ધિ વાપરીશ તો ગમતું અને ના ગમતું બન્ને વાગ્યા વગર રહેશે જ નહીં. માટે ભલેને બોલે આપણે શું છે ? આવું કોઇ બોલે ત્યારે આપણે કહીએ કે, “બોલો રેકર્ડ, આ ‘અમે તમને સાંભળીએ છીએ !” આ બોલે છે એ તો રેકર્ડ ઊતરેલી, તે કોઇ રીતે ફરે નહીં. મૂળ પોતે ધણી બોલતો નથી, આ તો ટેઇપ થઇ ગઇ છે તે રેકર્ડ બોલે છે, તે કંઇ ફરે નહીં. લોકોને ભાવતું નથી ગમતું અને ભાવતું ગમે છે, પણ વસ્તુ એક જ છે, બેઉ સંયોગો જ છે. પણ આ તો એકને ફાવતું, ઇષ્ટ સંયોગ અને બીજાને ના ફાવતું-અનિષ્ટ સંયોગ કર્યા; તે કોઇ અનિષ્ટ સંયોગ આવ્યો હોય તો કહે, ‘આ ક્યાં ચા પીવા આવ્યો ?” અને ઇષ્ટ સંયોગ આવ્યો હોય તો ના પીવી હોય તોય પરાણે એને ચા પીવડાવે. આની પાછળ રૂટ કોઝ શું છે ? ‘આ સારું અને આ ખોટું’ એમ કહે છે તે ? ના, પણ પેલી મિથ્યાત્વ દૃષ્ટિ છે તેથી આમ કરે છે. મિથ્યાત્વ દૃષ્ટિને લીધે ખરું શું ને ખોટું શું એનું ભાન જ નથી.
SR No.008825
Book TitleAptavani 02
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size62 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy