SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવણભાઇ પરિશ્રમભેર ધંધો કરે, ઘોડાપર બેસીને બડોદર જાય. બડોદરમાં એમની કપાસીયાની દુકાન ચાલે. અડધો દિવસ કામ કરે. સાંજે ઘેર પાછા ફરે. પણ દીકરાને કેળવણી આપવામાં કદી પાછી પાની કરે નહિ. દુકાનેથી કોઇ ઉધાર લઇ ગયું હોય. ઉઘરાણી કરવા છતાં રકમ પાછી આવતી ન હોય તો કદી એની સાથે તકરાર કરે નહીં. એને ધમકી આપે નહીં. મનોમન એટલું જ વિચારે કે એની સ્થિતિ સારી નહિ હોય તો જ પૈસા આપતો નહિ હોય. બાકી આમ તો માણસ સારો છે. જીવણભાઇને માનવીના સદ્-અંશમાં ઊંડી શ્રધ્ધા હતી. જીવણભાઇને પાંચ દીકરા. નરોત્તમદાસભાઇ, ગિરધરભાઇ, જેઠાલાલભાઇ, જયંતીભાઇ, અમીચંદભાઇ અને ત્રણ દિકરીઓ સાંકાળીબેન, સમરતબેન, તથા નવલબેન. પોતાના કુટુંબીજનોને હંમેશા કહેતા કે માણસને સાચા અને સારા માનવી બનાવે તેનું નામ જ ધર્મ. આપણે આપણા ધર્મનું પાલન કરવું અને બીજાને મદદ કરવી. તેઓ કહેતા કે જેવું વાવશો તેવું લણશો. સુખી થવા માટે કે સંયુકત કુટુંબ જાળવવા માટે સારી, સાચી અને ઉદાર ભાવના રાખજો. એવામાં વિ.સં. ૧૯૯૧માં આ કુટુંબ પર આફતના ઓળા ઊતરી આવ્યા. મણિબેનનું સર્પદંશથી મૃત્યુ થયું અને આખું કુટુંબ એકાએક છત્રછાયા ગુમાવી બેઠું. આ સમયે જીવણભાઇના સૌથી મોટા દીકરા નરોત્તમભાઇ મુંબઇમાં વેપાર કરતા હતા. ઇ.સ. ૧૯૧૯ની ૧૯મી એપ્રિલે જન્મેલા ગિરધરભાઈ માતાના અવસાન સમયે મેટ્રિકનો અભ્યાસ કરતા હતા. મઘરવાડામાં તો અભ્યાસની સગવડ ક્યાંથી મળે ? આથી ગિરધરભાઇ જૂનાગઢની બહાદુરખાનજી હાઇસ્કૂલમાં ભણે અને શેઠ દેવકરણ મૂળજી સૌ. વિ. જૈન બોર્ડિંગમાં રહે. અભ્યાસ ચાલતો હતો ત્યાંજ માતાનું આવસાન થયું. વિ.સં. ૧૯૯૩માં ગિરધરભાઇના સમરતબહેન (સમજુબહેન) સાથે લગ્ન થયા. પછીના વર્ષે મુંબઇ આવ્યા. મુંબઇમાં આવીને નોકરી શરૂ કરી. ધીરે ધીરે પોતાનો વ્યવસાય કરવાનો વિચાર કર્યો. એક સુખદ પળે એમણે બાંધકામના ધંધામાં ઝંપલાવ્યું. એકલે હાયે આખો સાગર તરવા જેવી આ વાત હતી. પાસે મોટી મૂડી નહીં. પાછળ કોઇ મોટું પીઠબળ નહીં. વળી બાંધકામના ધંધાનો કશોય અનુભવ નહીં, છતાં ગિરધરભાઇ રાત-દિવસ એક કરીને મહેનત કરવા લાગ્યા. ધીરે ધીરે નાનાં કામોથી શરૂઆત કરી. આ વ્યવસાયમાં એમનું નામ જાણીતું બન્યું. એમની પ્રમાણિકતા, નમ્રતા અને મહેનતુવૃત્તિ જોઇને બાંધકામના મોટાં મોટાં ‘કોન્ટ્રાક્ટ’ મળવા લાગ્યા. માત્ર મકાનના જ નહિ, પણ મોટી-મોટી મિલોનું બાંધકામ કરવા લાગ્યા. રેમન્ડ વુલન મિલ, ન્યૂ કૈસરે હિંદ મિલ જેવી મિલોનું બાંધકામ કર્યું. ઇ.સ. ૧૯૬૫ સુધી એમણે આ વ્યવસાયમાં ખેડાણ કર્યું અને ઘણી મોટી નામના મેળવી. For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy