________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨ સાડત્રીસમું પર્વ
પદ્મપુરાણ મળવા ચાલ્યા. વનમાલાની માતા આઠ પુત્રો સાથે પાલખીમાં બેસીને ચાલી. શ્રી રામનું સ્થાન દૂરથી જ જોઈને રાજાનાં નેત્રકમળ ખીલી ઊઠયાં. તે હાથી ઉપરથી ઊતરીને પાસે આવ્યા. શ્રી રામ અને લક્ષ્મણને મળ્યા. તેની રાણી સીતાને પગે લાગી અને કુશળતા પૂછી. વીણા, વાંસળી, મૃદંગાદિના અવાજ આવવા લાગ્યા. ચારણો બિરુદાવલિ ગાવા લાગ્યા, મોટો ઉત્સવ થઈ ગયો. રાજાએ લોકોને ખૂબ દાન આપ્યું, નૃત્ય થવા લાગ્યું, દશે દિશા નાદથી ગુંજવા લાગી. શ્રી રામ લક્ષ્મણને સ્નાન-ભોજન કરાવવામાં આવ્યું. અનેક સામંતો ઘોડા, હાથી, રથ પર ચડીને અને હુરણ સમાન કૂદતાં પાયદળો તથા હાથી પર બેઠેલા રામલક્ષ્મણ પૂરમાં પ્રવેશ્યા. આખું નગર આનંદથી ઉછળી રહ્યું. ચતુર બારોટો બિરુદ ગાય છે, મંગળ વચનો કહે છે. રામ-લક્ષ્મણે અમૂલ્ય વસ્ત્રો પહેર્યા, શરીર પર મલયાગિરિ ચંદનનો લેપ કર્યો, છાતી પર હાર પહેર્યા, આભૂષણમાંનાં જાતજાતનાં રત્નોનાં કિરણોથી મેઘધનુષ જાણે કે રચાઈ રહ્યાં છે. બન્ને ભાઈ સૂર્ય-ચંદ્ર સમાન છે, જેમનાં ગુણ વર્ણવાય નહિ. સૌધર્મ ઈશાન સમાન જાનકી સહિત લોકોને આશ્ચર્ય પમાડતા રાજમહેલમાં પધાર્યા. શ્રેષ્ઠ માળા પહેરેલા, સુગંધથી જેમની આજુબાજુ ભમરા ગુંજારવ કરતા હતા એવા વિનયી, ચંદ્રવદન બેય ભાઈને જોઈને લોકો મોહ પામ્યા. કુબેરના નગર જેવા તે સુંદર નગરમાં તેઓ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યા. આ પ્રમાણે જેમના મનમાં સુકૃત હોય છે તેઓ ગહન વનમાં જઈ ચડે તો પણ પરમ વિલાસ અનુભવે છે, સૂર્ય સમાન તેમની કાંતિ ફેલાય છે, તે પાપરૂપ તિમિરને હરે છે અને નિજ પદાર્થના લાભથી આનંદરૂપ બને છે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં વનમાલાની પ્રાપ્તિનું વર્ણન કરનાર છત્રીસમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
સાડત્રીસમું પર્વ (અતિવીર્યનો ભારત સાથે યુદ્ધાભ અને રામ-લક્ષ્મણથી પરાજિત થઈને દીક્ષાનું ગ્રહણ)
ત્યારપછી એક દિવસ શ્રી રામ સુખપૂર્વક બિરાજ્યા હતા અને પૃથ્વીધર પણ સમીપ બેઠો હતો તે સમયે દૂરથી ચાલીને આવવાથી અત્યંત ખેદખિન્ન થયેલ એક પુરુષે આવીને નમસ્કાર કર્યા અને એક પત્ર આપ્યો. રાજા પૃથ્વીધરે પત્ર લઈને લેખકને આપ્યો. લેખકે ખોલીને રાજાની પાસે વાંચ્યો. તેમાં આમ લખ્યું હતું કે જેનો ઉત્કૃષ્ટ પ્રભાવ ઇન્દ્ર સમાન છે, જેમને અનેક રાજા નમે છે એવા શ્રી નન્દાવર્તના સ્વામી, પ્રબળ પરાક્રમના ધારક, સુમેરુ પર્વત જેવા અચળ, શસ્ત્ર-શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ, મહારાજાધિરાજ, જેણે પોતાના પ્રતાપથી સર્વ શત્રુને મોહિત કર્યા છે અને સકળ પૃથ્વીને મોહિત કરી છે, તે ઉગતા સૂર્ય સમાન મહાબળવાન, સમસ્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com