________________
૭૭૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૧૮ તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે, તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો ? વાદવિવાદ કે મતભેદ શાનો ? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે,
܀܀܀܀܀
૧૧
મોરબી, અષાડ સુદ ૧૪, બુધ, ૧૯૫૬
૧ પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યે કામ આવે છે; આરાધના થઈ શકે છે.
૨ યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયઃ કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તોપણ છદ્મસ્થ અવસ્થાને લીધે દોઢસો ગાથાના સ્તવન મધ્યે સાતમા ઠાણાંગસૂત્રની શાખ આપી છે તે મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદ્દેશે માલૂમ પડે છે. આ ઠેકાણે અર્થ-કર્તાએ ‘રાસભવૃત્તિ’ એટલે પશુતુલ્ય ગણેલ છે; પણ તેનો અર્થ તેમ નથી. ‘રાસભવૃત્તિ’ એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય તોપણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લોટી જવાનું તેને મન થાય છે; તેમ વર્તમાન કાળે બોલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે,
૩ ‘ભગવતી આરાધના' મધ્યે લેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે.
૪ પરિણામ ત્રણ પ્રકારનાં છે હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત, પ્રથમનાં બે છદ્મસ્થન હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકંપ શૈલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે.
૫ તેરમે ગુણસ્થાનકે લૈશ્યા તથા યોગનું ચલાચલપણું છે, તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશય: સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દૃષ્ટાંતે જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા ગણાય.
૬ ‘ચલઈ સો બંધે’, યોગનું ચલાયમાન થવું તે ‘બંધ’; યોગનું સ્થિર થવું તે અબંધ.
૭ જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય.
૮ ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય
અપવાદ એટલે આમ હોવું જોઈએ પણ તેમ ન બને તો આમ. અપવાદ માટે છીંડી શબ્દને વાપરવો બહુ જ હલકો છે. માટે તે વાપરવો નહી.
૯ ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે; ને તેથી જે ઊતરતો તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે; તેથી નીચેનાં ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ
છે.
૧૦ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે.
૧૧ મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે 'આસવ', અને તેથી ઊલટું તે 'સંવર'.