________________
૭૫૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રદેશવાળી છે તે સમશ્રેણીની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ જે અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગુણતાં, તેમ જ બીજી દિશાની સમશ્રેણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય, એ અસંખ્યાતાના માંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જધન્યમાં જઘન્ય અનંતુ થાય.
૧૨૦ નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એકી વખતે વાણી દ્વારાએ બધા ધર્મ કહી શકાતા નથી. તેમ જ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે.
૧૨૧ નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે.
૧૨૨ નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસો, અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત્ જે વાણી છે તે સઘળા નય છે.
૧૨૩ એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.
૧૨૪ નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે.
૧૨૫ અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ કરતું નથી.
૧૨૬ કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજાં કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજાં કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગદ્વેષ હોય તો તે ચારિત્રમોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી; તે એકબીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી.
૧૨૭ ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે ‘ગુણી” છે, એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો કટકો છે તે ‘ગુણી’ છે અને મીઠાશ છે તે ગુણ છે. ‘ગુણી’ જે સાકર અને ગુણ જે મીઠાશ તે બન્ને સાથે જ રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી; તથાપિ ‘ગુણ’, ‘ગુણી’ કોઈ અંશે ભેદવાળા છે.
૧૨૮ કેવળજ્ઞાનીનો આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવાહિત છે; છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે.