________________
૭૨૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય ? જે પદાર્થને જ્ઞાની ઝેર કરે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય
ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપ ગોદડું ઓઢ્યું છે તેથી ઉપદેશરૂપ લાકડી લાગતી નથી. તરવાના કામી હોય તેણે ધોતિયારૂપ કર્મ ઓઢ્યાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. શાસ્ત્રમાં અભવ્યના તાર્યા તરે એમ કહ્યું નથી. ચોભંગીમાં એમ અર્થ નથી. કુંઢિયાના ધરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પોતે તર્યા નથી, ને બીજાને તારે છે એનો અર્થ આંધળો માર્ગ બતાવે તેવો છે. અસદ્ગુરુઓ આવાં ખોટાં આલંબન દે છે.
'જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું' એમ વિચારવું, ધ્યાવવું, નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે ‘આત્મા’ છે. જે સર્વને જાણે છે તે ‘આત્મા’ છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે ‘આત્મા’ છે. ઉપયોગમય ‘આત્મા’ છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ ‘આત્મા’ છે.
'આત્મા છે.'. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે, અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હોવાથી “આત્મા નિત્ય છે.’ ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે.” તેના ‘ફળનો ભોક્તા છે', ભાન થયે 'સ્વભાવપરિણામી છે.' સર્વથા સ્વભાવપરિણામ તે 'મોક્ષ છે.' સદ્ગુરુ, સત્સંગ, માસ, સદ્વિચાર અને સંયમાદિ તેનાં ‘સાધન’ છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે. કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે.
નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગ, તન્મયાકાર, સહજસ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે 'કેવળજ્ઞાન' છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકૃત્વ છે. નિરંતર તે પ્રીતિ વર્ત્યા કરે તે "ક્ષાયિકસમ્યકત્વ' કહીએ છીએ. ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ‘ક્ષયોપશમ સમ્યક્ત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી; ત્યાં સુધી ‘ઉપશમ સમ્યક્ત્વ’ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે. તેને સાસ્વાદન ‘સમ્યકત્વ’ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને 'વૈદક સમ્યકૃત્વ' કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે; અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે 'સ્વભાવસ્થિતિ' પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે "કેવળજ્ઞાન” છે.
܀܀܀܀܀
૧૧
આણંદ, ભાદરવા વદ ૧, ભોમ, ૧૯૫૨
'જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ' નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળજ્ઞાન હોય નહીં, બાકી સમ્યક્ત્વ હોય નહીં, એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણાની આવી વાતો કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય.