________________
૬૯૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
જો પેલા ભાઈએ પ્રથમથી જ ખોટાં કહ્યાં હોત તો તે માનત નહીં, પણ જ્યારે પોતાને વસ્તુની કિંમત આવી ને ખોટાંને ખોટારૂપે જાણ્યાં ત્યારે ઝવેરીને કહેવું પડ્યું નહીં કે ખોટાં છે. આ જ રીતે પોતાને સદ્ગુરુની પરીક્ષા થતાં અસદૃગુરુને અસત્ જાણ્યા તો પછી તે તરત જ અસદ્ગુરુ વર્જીને સદ્ગુરુના ચરણમાં પડે; અર્થાત્ પોતામાં કિંમત કરવાની શક્તિ આવવી જોઈએ.
ગુરુ પાસે રોજ જઈ એકેંદ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂછ્યા કરે; રોજ જાય અને એ ને એ જ પૂછે, પણ એણે ધાર્યું છે શું ? એકેંદ્રિયમાં જવું ધાર્યુ છે કે શું ? પણ કોઈ દિવસ એમ પૂછતો નથી કે એકેંદ્રિયથી માંડી પંચેંદ્રિયને જાણવાનો પરમાર્થ શો ? એકેંદ્રિયાદિ જીવો સંબંધી કલ્પનાઓથી કાંઈ મિથ્યાત્વગ્રંથિ છેદાય નહીં. એકેંદ્રિયાદિ જીવોનું સ્વરૂપ જાણવાનું કંઈ ફળ નથી; વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે, માટે ગુરુ પાસે જઈ નકામાં પ્રશ્નો કરવા કરતાં ગુરુને કહેવું કે એકેંદ્રિયાદિકની વાત આજે જાણી, હવે તે વાત કાલ કરશો નહીં; પણ સમકિતની ગોઠવણ કરજો. આવું કહે તો કોઈ દહાડો એનો નિવેડો આવે. પણ રોજ એકેંદ્રિયાદિની કડાકૂટો કરે તો એનું કલ્યાણ ક્યારે થાય ?
સમુદ્ર છે તે ખારો છે. એકદમ તો તેની ખારાશ નીકળે નહીં, તેને માટે આ પ્રકારે ઉપાય છે કે તે સમુદ્રમાંથી એકેક વહેળા લેવા, અને તે વહેળામાં જેથી તે પાણીની ખારાશ મટે, અને મીઠાશ થાય એવો ખાર નાખવો; પણ તે પાણી શોષાવાના બે પ્રકાર છેઃ એક તો સૂર્યનો તાપ, અને બીજી જમીન; માટે પ્રથમ જમીન તૈયાર કરવી અને પછી નીકો દ્વારા એ પાણી લઈ જવું અને પછી ખાર નાંખવો કે તેથી ખારાશ મટી જશે. આ જ રીતે મિથ્યાત્વરૂપી સમુદ્ર છે, તેમાં કદાગ્રહદિરૂપ ખારાશ છે; માટે કુળધર્મરૂપી વહેળાને યોગ્યતારૂપ જમીનમાં લઈ સોધરૂપી ખાર નાંખવો એટલે સત્પુરુષરૂપી તાપથી ખારાશ મટી જશે.
‘દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયારંગ રે;
તોપણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજાં અંગ રે.
જેટલી ભ્રાન્તિ વધારે તેટલું વધારે,
સૌથી મોટો રોગ મિથ્યાત્વ.
જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છંદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છંદ ન કરવું. 'હું ડાહ્યો છું' એવું માન રાખવું તે કયા ભવને માટે ? 'હું ડાહ્યો નથી' એવું સમજ્યા તે મોક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિઘ્ન સ્વચ્છંદ છે. જેનો દુરાગ્રહ છેદાયો તે લોકોને પણ પ્રિય થાય છે; દુરાગ્રહ મૂક્યો હોય તો બીજાને પણ પ્રિય થાય છે; માટે કદાગ્રહ મુકાયાથી બધાં ફળ થવાં સંભવે છે.
ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદનાં પ્રશ્નો પૂછ્યાં; તેનું, સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યું.
બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છંદે કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય હોય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદૃષ્ટિએ રાગદ્વેષ ઘટ્યા હોય તો ફળીભૂત થાય, વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે.
મોટા પુરુષોની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વીશ લાખ જીવો મતમતાંતરમાં પડ્યાં છે ! જ્ઞાનીની દૃષ્ટિએ ભેદાભેદ હોય નહીં.
જે જીવને અનંતાનુબંધીનો ઉદય છે તેને સાચા પુરુષની વાત સાંભળવી પણ ગમે નહીં. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અનંતા-