________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૭૯૦
૬૦૯
મુંબઇ, શ્રાવણ સુદ ૩, રવિ, ૧૯૫૩
પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષમાં નિરંતર વર્ત્યા કરે છે તે સત્પુરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે.
પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકીર્ણજીની જિજ્ઞાસાથી અનંતગુણવિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. બળવાન, અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. દીર્ધકાળને ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે.
યથાર્થ ઉપકારી પુરુષપ્રત્યક્ષમાં એકત્વભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે.
સર્વ મુનિઓને નમસ્કાર.
܀܀܀܀܀
૭૯૧
મુંબઇ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩
દીર્ઘકાળની જેની સ્થિતિ છે, તેને અલ્પકાળની સ્થિતિમાં આણી, જેમણે કર્મક્ષય કર્યો છે, તે મહાત્માઓને નમસ્કાર.
સવર્તન, સગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.
܀܀܀܀܀
૭૯૨
મુંબઇ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩
બે પત્ર મળ્યાં છે. ‘’મોક્ષમાર્ગપ્રકાશ’’ નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મોકલાવ્યો છે તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લુજી અને દેવકીર્ણજીએ સંપૂર્ણ વાંચીને, મનન કરીને પછી કેટલાક પ્રસંગો બીજા મુનિઓને શ્રવણ કરાવવા યોગ્ય છે.
શ્રી દેવકીર્ણમુનિએ બે પ્રશ્નો લખ્યાં છે તેનો ઉત્તર ઘણું કરીને હવેના પત્રમાં લખીશું.
‘’મોક્ષમાર્ગપ્રકાશ’’ અવલોકન કરતાં કોઈ વિચારમાં મતાંતર જેવું લાગે તો નહીં મૂંઝાતાં તે સ્થળે વધારે
મનન કરવું, અથવા સત્યમાગમને યોગે તે સ્થળ સમજવું યોગ્ય છે.
પરમોત્કૃષ્ટ સંયમમાં સ્થિતિની તો વાત દૂર રહી. પણ તેના સ્વરૂપનો વિચાર થવો પણ વિકટ છે.
܀܀܀܀܀
૭૯૩
મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૩
‘સમ્યક્દૅષ્ટિ અભક્ષ્ય આહાર કરે?’ એ આદિ પ્રશ્નો લખ્યાં. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવા યોગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દેષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામની હાનિ કરવા જેવું છે. મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર કરી નથી શકતો. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે; પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, તેમ એ વાત યથાર્થ એમ જ છે, તેમ પણ નથી. સમ્યક્દૅષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તોપણ સમ્યક્દર્શન આવ્યા પછી ન વમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યક્દર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઇ ન જવી. સત્પુરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષના પોષણથી રહિત હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે તેવે પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે.
શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથા0 હાલ ડુંગર કંઇ વાંચે છે ? તે લખશો.
܀܀܀܀܀
૭૯૪
મુંબઈ, શ્રાવણ વદ ૧, શુક્ર, ૧૯૫૩
પ્રથમ એક કાગળ મળ્યો હતો. બીજો કાગળ હમણાં મળ્યો છે.
આર્ય સોભાગનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો હોત તો ઘણો ઉપકાર થાત. પણ ભાવી