________________
૪૩૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.' એવા ભાવના વીશ દોહા કે જેમાં પ્રથમ વાક્ય 'હે પ્રભુ ! હૈ પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.
બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થ નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે.
‘યોગવાસિષ્ઠ’ ની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ‘ઉત્તરાધ્યયનસૂત્ર' વિચારશો; પણ તે કુળસંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવાને વિચારશો, કેમકે જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દૃષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્ગે 'યોગવાસિષ્ઠ, ઉત્તરાધ્યયનાદિ' વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાાધપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.
܀܀܀܀܀
આ સ્વ. પ્રણામ.
૫૩૫
મુંબઈ, કારતક સુદ ૩, બુધ, ૧૯૫૧
તમને બે પત્તાં લખ્યાં છે તે પહોંચ્યાં હશે. અમે સંક્ષેપમાં લખ્યું છે. અભિન્નભાવે લખ્યું છે. માટે કદાપિ કંઈ તેમાં અંદેશા યોગ્ય નથી, તોપણ સંક્ષેપના કારણથી ન સમજાય એવું કંઈ બને તો પૂછવામાં અડચણ નથી.
શ્રીકૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા, એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રીકૃષ્ણે કાંચનની દ્વારિકાનું, છપ્પનકોટિ યાદવે સંગ્રહિતનું, પંચવિષયના આકર્ષિત કારણોના યોગમાં સ્વામીપણું ભોગવ્યું, તે શ્રીકૃષ્ણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે; અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. કુલનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, તે શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ જેણે ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા યોગ્ય છે.
૫૩૬
મુંબઈ, કારતક સુદ ૪, ગુરુ, ૧૯૫૧
આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે, અને તે સંબંધમાં યથાઉદય સમાધાન લખવાનું વિચારું છું અને તે પત્ર તરતમાં લખીશ.
બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે; એક 'વિચારદશા', અને બીજી 'સ્થિતપ્રજ્ઞદશા'. સ્થિતપ્રજ્ઞદશા વિચારદશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞદશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે; કેમકે આત્મપરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે