________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૦૫
હમણાં નિર્ગુથ થઈ શકું તેમ નથી; એમાં સંસારમોહિની કે એવું કારણ નથી; પરંતુ તે પણ ધર્મસંબંધી કારણ છે. ગૃહસ્થધર્મનાં આચરણ બહુ કનિષ્ઠ થઈ ગયાં છે; અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે, એટલા માટે થઈને ધર્મસંબંધે ગૃહસ્થ વર્ગને હું ઘણે ભાગે બોંધી યમનિયમમાં આવું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચર્સે જેટલા સદ્ગૃહસ્થોની સભા ભરાય છે. આઠ દિવસનો નવો અનુભવ અને બાકીનો આગળનો ધર્માનુભવ એમને બે ત્રણ મુહૂર્ત બોધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રનો કેટલોક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમનો બોધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રનો બનતો પરિચય રાખે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમો બહુધા મારા અનુચરો પણ સેવે છે. એઓ બધા એથી શાતા ભોગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સદ્ગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજાસહિત પણ મારી નીતિવાન અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતો નથી એ આપે સ્મૃતિમાં રાખવું; માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતો જઉં છું.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૬૫. સુખ વિષે વિચાર-ભાગ ૫
આ સઘળા ઉપરથી હું સુખી છું એમ આપને લાગી શકશે અને સામાન્ય વિચારે મને બહુ સુખી માનો તો માની શકાય તેમ છે. ધર્મ, શીલ અને નીતિથી તેમજ શાસ્ત્રાવધાનથી મને જે આનંદ ઊપજે છે તે અવર્ણનીય છે. પણ તત્ત્વદૃષ્ટિથી હું સુખી ન મનાઉં. જ્યાં સુધી સર્વ પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહ મેં ત્યાગ્યા નથી ત્યાં સુધી રાગદોષનો ભાવ છે. જોકે તે બહુ અંશે નથી, પણ છે; તો ત્યાં ઉપાધિ પણ છે. સર્વસંગપરિત્યાગ કરવાની મારી સંપૂર્ણ આકાંક્ષા છે; પણ જ્યાં સુધી તેમ થયું નથી ત્યાં સુધી હજુ કોઈ ગણાતાં પ્રિયજનનો વિયોગ, વ્યવહારમાં હાનિ, કુટુંબીનું દુઃખ એ થોડે અંશે પણ ઉપાધિ આપી શકે. પોતાના દેહ પર મોત સિવાય પણ નાના પ્રકારના રોગનો સંભવ છે. માટે કેવળ નિગ્રંથ, બાહ્યાન્વંતર પરિગ્રહનો ત્યાગ, અલ્પારંભનો ત્યાગ એ સઘળું નથી થયું ત્યાં સુધી હું મને કેવળ સુખી માનતો નથી. હવે આપને તત્ત્વની દૃષ્ટિએ વિચારતાં માલૂમ પડશે કે લક્ષ્મી, સ્ત્રી, હું પુત્ર કે કુટુંબ એ વડે સુખ નથી; અને એને સુખ ગણું તો જ્યારે મારી સ્થિતિ પતિત થઈ હતી ત્યારે એ સુખ ક્યાં ગયું હતું ? જેનો વિયોગ છે, જે ક્ષણભંગુર છે અને જ્યાં એકત્વ કે અવ્યાબાધપણું નથી તે સુખ સંપૂર્ણ નથી. એટલા માટે થઇને હું મને સુખી કહી શકતો નથી. હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતો હતો. તોપણ મારે આરંભોપાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડ્યું નથી, એમ તો નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જો ધારતા હો કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તો તે જો પુણ્ય ન હોય તો કોઈ કાળે મળનાર નથી. પુણ્યથી લક્ષ્મી પામી મહારંભ, કપટ અને માનપ્રમુખ વધારવાં તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા, પામેલો મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. એક તો જાણે પુણ્યને ખાઈ જવાં; બાકી વળી પાપનું બંધન કરવું; લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભોગવવી તે હું ધારું છું કે વિવેકી આત્માને માન્ય ન હોય. મેં જે કારણથી લક્ષ્મી ઉપાર્જન કરી હતી, તે કારણ મેં આગળ આપને જણાવ્યું હતું. જેમ આપની ઇચ્છા હોય તેમ કરો. આપ વિદ્વાન છો, હું વિદ્વાનને ચાહું છું, આપની અભિલાષા હોય તો ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહો. આપની ઉપજીવિકાની સરળ યોજના જેમ કહો તેમ હું રુચિપૂર્વક