________________
http://www.ShrimadRajchandra.org
૧૭
મોક્ષમાળા
(બાલાવબોધ) ઉપોદ્ઘાત
નિગ્રંથ પ્રવચનને અનુકૂલ થઈ સ્વલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષાવિષયરૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે તે ઉચિત થાઓ ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલનો ઉપદેશ કરનારા પુરુષો કંઈ ઓછા થયા નથી; તેમ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતારૂપ નથી; પણ વિનયરૂપે તે ઉપદેશકોનાં ધુરંધર પ્રવચનો આગળ કનિષ્ઠ છે. આ પણ પ્રમાણભૂત છે કે, પ્રધાન પુરુષની સમીપ અનુચરનું અવશ્ય છે; તેમ તેવા ધુરંધર ગ્રંથનું ઉપદેશબીજ રોપાવા, અંતઃકરણ કોમલ કરવા આવા ગ્રંથનું પ્રયોજન છે.
આ પ્રથમ દર્શન અને બીજાં અન્ય દર્શનોમાં તત્ત્વજ્ઞાન તેમજ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખતરંગ પ્રાપ્ત કરવા માટે જે જે સાધ્યસાધનો શ્રમણ ભગવંત જ્ઞાતપુત્રે પ્રકાશ્યાં છે, તેનો સ્વલ્પતાથી કિંચિત્ તત્ત્વસંચય કરી તેમાં મહાપુરુષોનાં નાનાં નાનાં ચરિત્રો એકત્ર કરી આ ભાવનાબોધ અને આ મોક્ષમાળાને વિભૂષિત કરી છે. તે - “વિદગ્ધમુખમંડનં ભવતું.’
(સંવત્ ૧૯૪૩)
-કર્તાપુરુષ