________________
૩૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રદર્શનરૂપ હોઈને તે વન નંદનવનની તુલ્યતા ધરાવતું હતું. ત્યાં એક તરુ તળે મહા સમાધિવંત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલા દીઠા. એનું રૂપ દેખીને તે રાજા અત્યંત આનંદ પામ્યો. એ અતુલ્ય ઉપમારહિત રૂપથી વિસ્મય પામીને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. અહો ! આ મુનિનો કેવો અદ્ભુત વ છે ! અહો ! એનું કેવું મનોહર રૂપ છે ! અહો ! આ આર્યની કેવી અદ્ભુત સૌમ્યતા છે ! અહો ! આ કેવી વિસ્મયકારક ક્ષમાના ધરનાર છે ! અહો ! આના અંગથી વૈરાગ્યની કેવી ઉત્તમ સ્ફુરણા છે ! અહો ! આની કેવી નિર્લોભતા જણાય છે ! અહો ! આ સંયતિ કેવું નિર્ભય અપ્રભુત્વ-નમ્રપણું ધરાવે છે ! અહો ! એનું ભોગનું અસંગતિપણું કેવું સુર્દઢ છે ! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યું, "હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ-ઋતુના કામભોગ, જળ સંબંધીના કામભોગ, તેમજ મનોહારિણી, સ્ત્રીઓના મુખવચનનું મધુ શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહો.”
રાજાનાં વચનનો આવો અર્થ સાંભળીને મુનિએ કહ્યું. “હું અનાથ હતો. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, સુહનું - મિત્ર લેશમાત્ર પણ કોઈ ન થયો. એ કારણ અનાથીપણાનું હતું.”
શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડયો. “અરે ! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય ? લો, કોઈ નાથ નથી તો હું થઉં છું. હે ભયત્રાણ ! તમે ભોગ ભોગવો. હે સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવો તમારો મનુષ્યભવ સુલભ કરો !”
અનાથીએ કહ્યું, “પરંતુ અરે શ્રેણિક, મગધદેશના રાજા ! તું પોતે અનાથ છો તો મારો નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય કયાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે ? અજ્ઞ તે વિદ્વત્તા ક્યાંથી દે ? વંધ્યા તે સંતાન ક્યાંથી આપે ? જ્યારે તું પોતે અનાથ છો, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયો. કોઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. "હું અનેક પ્રકારના અશ્વનો ભોગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓનો ધણી છું, અનેક પ્રકારની સેના મને આધીન છે; નગર ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભોગ મને પ્રાપ્ત છે; અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હોંઉં ? રખે હે ભગવન્ ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું. “હે રાજા ! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ્યો નથી. તું પોતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્તે કરીને તું સાંભળ, સાંભળીને પછી નારી શંકાનો સત્યાસત્ય નિર્ણય કરજે, મેં પોતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું.
કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામનો મારો પિતા રહેતો હતો, પ્રથમ યૌવનવયને વિષે હૈ મહારાજા ! અતુલ્ય અને ઉપમારહિત મારી આંખોને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાજ્વર આખે શરીરે પ્રવર્તમાન થયો. શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રોગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયો. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુ:ખવા લાગ્યું. ઇંદ્રના વજ્રના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે અત્યંત પરમ દારુણ વેદનાથી હું બહુ શોકાર્ત હતો, શારીરિક વિદ્યાના