________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનની સ્વાધીનતા ને અંશમાં પૂર્ણની પ્રત્યક્ષતા
૯૯
સામાન્યનું વિશેષ પ્રગટયું છે. વિશેષ વગર સામાન્ય શ્રધ્ધા જ ન હોઈ શકે.
આનંદ ગુણની સ્વાધીનતા જ્ઞાન અને શ્રધ્ધા ગુણ પ્રમાણે આનંદ ગુણનું પણ તેમ જ છે. આત્માનો વર્તમાન આનંદ જો પૈસા વગેરે પરના કારણે પરિણમે તો તે વખતે આનંદપણે પોતે વર્તમાન વિશેષ શું કાર્ય કર્યું? પરથી જ આનંદ પ્રગટયો તો આનંદ ગુણનું તે વખતે વિશેષ કાર્ય ક્યાં ગયું? અજ્ઞાનીએ પરમાં આનંદ માન્યો તે વખતે પણ તેનો આનંદ ગુણ સ્વાધીનપણે કાર્ય કરે છે. અજ્ઞાનીએ આનંદનું વર્તમાન કાર્ય ઊંધું માન્યું એટલે આનંદ ગુણનું વિશેષ તેને દુઃખરૂપ પરિણમે છે. આનંદ પરથી પ્રગટતો નથી, પણ સંયોગ અને નિમિત્ત વગરના આનંદ નામના સામાન્ય ગુણ અવલંબને વર્તમાન આનંદ પ્રગટે છે. આ સમજતાં લક્ષનું જોર પર ઉપર ન જતાં સામાન્ય સ્વભાવ ઉપર જાય છે, અને એ સામાન્ય આનંદ સ્વભાવના અવલંબને વિશેષરૂપ આનંદ દશા પ્રગટે છે; અને એ સામાન્યના અવલંબને પ્રગટેલો તે આનંદનો અંશ પૂર્ણ–આનંદની પ્રતીત લેતો જ પ્રગટે છે. જો આનંદના અંશમાં પુર્ણની પ્રતીતિ ન હોય તો અંશ આવ્યો ક્યાંથી?
ચારિત્ર, વીર્ય, વગેરે સર્વ ગુણોની સ્વાધીનતા આ જ પ્રમાણે ચારિત્ર, વીર્ય વગેરે બધા ગુણોનું વિશેષ કાર્ય સામાન્યના અવલંબને જ થાય છે. આત્માનો પુરુષાર્થ જો નિમિત્તના અવલંબને કાર્ય કરતો હોય તો અંતરના સામાન્ય પુરુષાર્થ સ્વભાવે તે વખતે શું કર્યું? શું સામાન્ય સ્વભાવ વિશેષ વગરનો રહ્યો? વિશેષ વગરનું સામાન્ય હોય એમ તો બને નહિ. દરેક ગુણ નું વર્તમાન ( વિશેષ અવસ્થારૂપ કાર્ય) સામાન્ય સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. કર્મ પુરુષાર્થ રોકે છે એ વાત જ ખોટી હોવાથી ઊડી ગઈ. કોઈ પણ ગુણનું કાર્ય જો નિમિત્તના અવલંબને કે રાગના અવલંબને થતું હોય તો સામાન્ય સ્વભાવનું તે વખતે વિશેષ કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com