________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહાવીરાષ્ટક સ્તોત્ર સામાન્ય અર્થ -
જેવી રીતે સન્મુખ આવેલા પદાર્થો દર્પણમાં ઝળકે છે, તેવી જ રીતે જેમના કેવળજ્ઞાનમાં સમસ્ત જીવ-અજીવ અનંત પદાર્થો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત યુગપત્ પ્રતિભાસે છે; તથા જેવી રીતે સૂર્ય લૌકિક માર્ગોને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે મોક્ષમાર્ગને પ્રકાશિત કરવાવાળા જે જગતના જ્ઞાતા-દષ્ટા છે; તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૧.
સ્પન્દ (પલકાર) અને લાલિમા રહિત જેમના બેઉ નેત્રકમળ મનુષ્યોને બાહ્ય અને અભ્યતર કોધાદિ વિકારોનો અભાવ પ્રગટ કરી રહેલાં છે અને જેમની મુદ્રા સ્પષ્ટપણે પૂર્ણ શાન્ત અને અત્યંત નિર્મળ છે, તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૨.
નમ્રીભૂત ઈન્દ્રોના સમૂહના મુકુટોના મણિઓની પ્રભાકાલ વડે જટિલ (મિશ્રિત) જેમનાં પ્રકાશમાન બેઉ ચરણકમળો, સ્મરણ કરવા માત્રથી જ, શરીરધારીઓની સાંસારિક દુ:ખ-જ્વાળાઓનું, પાણીની જેમ, શમન કરી દે છે; તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૩.
જ્યારે પૂજા કરવાના ભાવમાત્રથી પ્રસન્નચિત્ત એવા દેડકાએ ક્ષણવારમાં ગુણોના સમૂહથી સમૃદ્ધ સુખના ભંડાર સમી સ્વર્ગ-સંપદાને પ્રાપ્ત કરી લીધી, તો પછી તેમના ભક્તો મુક્તિ-સુખને પ્રાપ્ત કરી લે તો તેમાં શું આશ્ચર્ય છે? અર્થાત્ તેમના સદભક્તો અવશ્ય મુક્તિસુખને પ્રાપ્ત કરે જ. તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બનો અર્થાત્ મને (અમને) દર્શન આપો. ૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com