________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) “અતિરૂપ” એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે. એમ પ્રત્યેક ગુણ માટે સમજવું. ભાઈ ! આ તો સર્વજ્ઞના પેટની વાત, બાપુ! ધીરે ધીરે સમજવી.
અહીં કહે છે-આત્માના (સંસારીના) કોઈ ગુણ (શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, સુખ આદિ) અનાદિથી અશુદ્ધ પરિણમી રહ્યા છે. અશુદ્ધતા તે, તે તે સમયની એની યોગ્યતા છે. આ અશુદ્ધતા અનાદિ-સાંત છે. હવે આ કાળની જીવમાં થયેલ જે અશુદ્ધતા તે માનો જ નહિ તો, કહે છે, અનાદિ-અનંત ગુણની જ સિદ્ધિ નહિ થાય, અને તો દ્રવ્ય નામ આત્મા પણ સિદ્ધ નહિ થાય. માટે અહીં કહે છે-જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. સમજાણું કાંઈ...? ખૂબ ગંભીર વાત ભાઈ !
કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને અડતી નથી, લ્યો, અવ્યક્તના બોલમાં આ આવે છે. વળી પ્રવચનસારમાં અલિંગગ્રહણના છેલ્લા બોલોમાં આવે છે કે-દ્રવ્ય છે તે ગુણવિશેષને આલિંગન કરતું નથી; અભેદ વસ્તુ છે તે ભેદને આલિંગન કરતી નથી; દ્રવ્ય છે તે પર્યાયવિશેષને આલિંગન કરતું નથી; ઈત્યાદિ. ભાઈ ! ત્યાં તો પ્રયોજનવશ પર્યાયનું અસ્તિત્વ અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન સિદ્ધ કરવું છે. દ્રવ્ય-પર્યાયમાં અંદર અંદર ભાગ પાડીને વાત કરે ત્યારે એમ કહે કે – દ્રવ્ય-સામાન્ય વિશેષમાં આવતું નથી, ને વિશેષ દ્રવ્ય-સામાન્યમાં આવતું નથી. પરંતુ પરની અપેક્ષાથી વાત કરે ત્યારે બેયનું (-દ્રવ્યપર્યાયનું) એક જ અસ્તિત્વ કહે. લ્યો, આવી વીતરાગમાર્ગની ખૂબ ગંભીર શૈલી છે.
સમયસારની ૭૩ મી ગાથામાં કહ્યું કે- વિકારનો સ્વામી પુદગલ છે, વળી ત્યાં ૭૫-૭૬ ગાથામાં કહ્યું કે- અંતરંગમાં જે રાગદ્વેષના ભાવ થાય છે તે પુદગલ છે. કર્મનોકર્મ જે બહિરંગ છે તે તો પુદ્ગલ છે જ, પણ અંદરમાં નિમિત્તના અવલંબને જે દયા, દાન આદિના ભાવ થાય તેય પુદ્ગલ છે. લ્યો, આવી વાત ! એ તો રાગાદિ ભાવમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે તો તેમને જડ કહ્યા, અને જડનો સ્વામી જડ જ હોય માટે તેને પુદ્ગલ કહ્યા. સમજાણું કાંઈ...?
જ્યારે પ્રવચનસાર, નય-અધિકારમાં એમ વાત છે કે-શુદ્ધ અને અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા આત્મા છે. વળી અહીં પણ એ જ કહ્યું કે- જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. અહીં તો વર્તમાન વર્તતી પર્યાય કહેવી છે ને! ભાઈ ! કયાં કઈ અપેક્ષાએ વાત છે તે બરાબર સમજવું જોઈએ. દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ પુણ્ય-પાપ આદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે, જ્યારે પર્યાયથી જુએ તો પુણ્ય-પાપ આદિ વિકારનો તેની પર્યાયમાં સદ્દભાવ છે, તેથી પર્યાય અપેક્ષા આત્મા જ પુણ્ય-પાપ છે. જો વિકારી પર્યાયને કાઢી નાખો તો અનંતી વિકારી પર્યાયોનો અભાવ થતાં આખો ત્રિકાળ ગુણ સિદ્ધ નહિ થાય, અને તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ એવો આત્મા જ સિદ્ધ નહિ થાય. જે અશુદ્ધ પર્યાયો ગઈ તે ડૂબકી મારીને અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com