________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
છવ્વીસમું પર્વ
૨૪૯
કરે છે તે પણ પાપથી છૂટે છે. પાપથી છૂટેલો પુણ્યનું ગ્રહણ કરે છે અને પુણ્યનાં બંધનથી દેવ અથવા મનુષ્ય થાય છે અને જે સમ્યગ્દષ્ટિ જીવ છે તે અણુવ્રત ધારણ કરીને દેવોનો ઇન્દ્ર થઈ પ૨મભોગ ભોગવે છે. પછી મનુષ્ય થઈ મુનિવ્રત ધારણ કરી મોક્ષપદ પામે છે. આચાર્યના આવાં વચન સાંભળીને જોકે કુંડળમંડિત અણુવ્રત ધારવામા શક્તિરહિત હોવા છતાં પણ મસ્તક નમાવી ગુરુને સવિનય નમસ્કાર કરી મધ-માંસનો ત્યાગ કર્યો અને સમ્યગ્દર્શનનું શરણ લીધું. ભગવાનની પ્રતિમાને નમસ્કાર કરી અને ગુરુઓને નમસ્કાર કરી બીજા દેશમાં ગયો. મનમાં એવો વિચાર આવ્યો કે મારા મામા અત્યંત પરાક્રમી છે તે મને ખેદખિન્ન જાણીને ચોક્કસ મને મદદ કરશે. પછી હું રાજા થઈ શત્રુઓને જીતીશ. આવી આશા રાખીને તે દક્ષિણ દિશા તરફ જવા તૈયાર થયો. તે અત્યંત ખેદખિન્ન બની, દુ:ખથી ભરેલો ધીરે ધીરે જતો હતો તે માર્ગમાં વ્યાધિની વેદનાથી સમ્યક્ત્વરહિત થઈ મિથ્યાત્વ ગુણસ્થાનમાં મરણ પામ્યો. મરણનો તો જગતમાં કોઈ ઉપાય નથી. જે વખતે કુંડળમંડિતના પ્રાણ છૂટયા અને તે રાજા જનકની સ્ત્રી વિદેહાના ગર્ભમાં આવ્યો. તે જ સમયમાં વેદવતીનો જીવ જે ચિત્તોત્સવા થઈ હતી તે પણ તપના પ્રભાવથી સીતા થઈ. તે પણ વિદેહાના ગર્ભમાં આવી. આ બન્ને એક ગર્ભમાં આવ્યા અને પેલો પિંગળ બ્રાહ્મણ, જે મુનિવ્રત ધારણ કરીને ભવનવાસી દેવ થયો હતો તે અવધિજ્ઞાનથી પોતાના તપનું ફળ જાણીને વિચારવા લાગ્યો કે આ ચિત્તોત્સવા ક્યાં અને તે પાપી કુંડળમંડિત ક્યાં? જેનાથી હું પૂર્વભવમાં દુઃખ પામ્યો હતો, હવે તે બન્ને રાજા જનકની સ્ત્રીના ગર્ભમાં આવ્યાં છે. તે તો સ્ત્રીની જાતિ પરાધીન હતી અને પાપી કુંડળમંડિતે અન્યાય માર્ગ લીધો હતો તે મારો પરમશત્રુ છે. હવે જો તેને ગર્ભમાં હેરાન કરું તો રાણી મ૨ણ પામશે અને એની સાથે તો મારે વે૨ નથી તેથી જ્યારે તે ગર્ભની બહાર આવે ત્યારે હું એને દુઃખ દઈશ. આમ ચિંતવતો પૂર્વકર્મના વેરથી ક્રોધે ભરાયેલો તે દેવ કુંડળમંડિતના જીવને બાધા પહોંચાડવા તૈયાર થયો. આમ જાણીને બધા જીવો પ્રત્યે ક્ષમા રાખવી, કોઈને દુ:ખ ન દેવું. જે બીજાને દુઃખ દે છે તે પોતાને જ દુઃખસાગરમાં ડુબાડે છે.
પછી સમય થતાં રાણી વિદેહાને પુત્ર અને પુત્રીનો યુગલ જન્મ થયો ત્યારે તે દેવ પુત્રનું હરણ કરી ગયો. ત્યાં પ્રથમ તો ક્રોધથી તેણે એવો વિચાર કર્યો કે હું આને શિલા પર પટકીને મારી નાખું. પાછો વિચાર બદલાયો કે ધિક્કાર છે મને! મેં આવું અનંત સંસારનું કારણ પાપ કરવાનું વિચાર્યું. બાળહત્યા સમાન બીજું કોઈ પાપ નથી. પૂર્વભવમાં મેં મુનિવ્રત લીધાં હતાં ત્યાં તૃણમાત્રની પણ વિરાધના કરી નહોતી, સર્વ આરંભનો ત્યાગ કર્યો હતો. અનેક પ્રકારનાં તપ કર્યાં હતાં. શ્રીગુરુના પ્રસાદથી નિર્મળ ધર્મ પામીને આવી વિભૂતિ મેળવી છે. હવે હું આવું પાપ કેમ કરું? અલ્પમાત્ર પાપથી પણ મહાન દુઃખ મળે છે, પાપથી આ જીવ સંસા૨વનમાં ઘણો કાળદુઃખરૂપ અગ્નિમાં બળે છે. જે દયાળુ અને નિર્દોષ ભાવનાવાળો છે, અત્યંત સાવધાન છે તેને ધન્ય છે, સુગતિ નામનું રત્ન તેના હાથમાં છે. આમ વિચારીને તે દેવે દયાળુ બનીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com