________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૯ લોકો આશ્ચર્ય પામ્યા-અરે આ શું થયું! ભરતે હાથી ઉપર શું જાદુ કર્યું? તે આમ એકાએક શાંત કેમ થઈ ગયો? ભરત તેના ઉપર બેસીને નગરીમાં આવ્યો; ને હાથીને હાથીખાનામાં રાખ્યો; મહાવત લોકો તેની ખૂબ સેવા કરે છે, તેને રીઝવવા વાજિંત્ર વગાડે છે, તેને માટે લાડવા કરાવે છે, તેને ઉત્તમ શણગારથી સજે છે.
-પણ આશ્ચર્યની વાત એ છે કે હાથી હવે કાંઈ ખાતો નથી, વાજિંત્રમાં કે શણગારમાં ધ્યાન દેતો નથી, ઊંઘતો પણ નથી, તે એકદમ ઉદાસ રહે છે; ક્રોધ પણ નથી કરતો. એકલા-એકલો આંખો મીંચીને શાંત થઈને બેસી રહે છે ને આત્મહિતની જ વિચારણા કરે છે; જાતિસ્મરણને લીધે તેનું ચિત્ત સંસારથી ને શરીરથી અત્યંત વિરક્ત થયું છે...
આમ ને આમ ખાધા-પીધા વગર એક દિવસ ગયો, બે દિવસ ગયા, ચાર દિવસ થઈ ગયા. ત્યારે મહાવતો મૂંઝાયા ને શ્રીરામ પાસે આવીને કહ્યું- દેવ ! આ હાથી ચાર દિવસથી કાંઈ ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી, તોફાન પણ કરતો નથી; શાંત થઈને બેઠો છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com