________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪૯
પરમાત્મા] અલ્પજ્ઞતા વિનાના તારો આત્માનો સ્વભાવ પરમાત્માના સ્વભાવ જેવો જ નિશ્ચયથી તું જાણ. એમ જાણતા તને વીતરાગતા પ્રગટ થશે ને વીતરાગતા પ્રગટ થતાં તને અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે.
જેમ સિંહનું બચ્ચું પહેલેથી બકરાંના ટોળામાં ઉછર્યું હોય તેથી તે માને કે હું પણ આ બધા જેવો જ છું-બકરું છું પણ જ્યાં બીજો મોટો સિંહ આવ્યો ને ત્રાડ પાડી ત્યારે બધાં બકરાં ભાગી ગયા તોપણ સિંહનું બચ્ચું ભાગ્યું નહીં. કેમ ન ભાગ્યું?-કે એ ત્રાડથી એને કોઈ ભય ન લાગ્યો માટે ન ભાગ્યું. ત્યારે સિંહ કહે કે તું મારી નાતનો છો, તારું મોઢું પાણીમાં જો, બકરાં, જેવું નથી, મારી જેવું છે, તું સિંહ છો, બકરાના ટોળામાં તું ન હોઈ શકે, આવી જા મારી સાથે.
તેમ સર્વજ્ઞદેવ કહે છે કે તું રાગ ને દ્વેષ ને અજ્ઞાનમાં પડ્યો હોવાથી હું રાગી છું, હું સંસારી છું-એમ બકરાંના ટોળામાં સિંહના બચ્ચાની જેમ ભેળસેળ થઈ ગયો! હવે પરમાત્માની જ્યાં ત્રાડ પડી કે તું પરમાત્મા છો, મારી નાતનો ને જાતનો છો ! તારી ચીજને તું જો તો ખરો! મારામાં પૂરતા પ્રગટી એવી પૂરતા પ્રગટાવવાની તારામાં તાકાત પડી છે કે નહિ! અંદર જો તો ખરો ! કર્મ કર્મમાં રહ્યા, રાગ રાગમાં રહ્યો ને અલ્પજ્ઞતા પર્યાયમાં રહી, તારા પૂરણ સ્વરૂપમાં અલ્પજ્ઞતા, કર્મ કે વિકાર આવતા નથી-એમ તું તને જો તો ખરો!
એકવાર વિશ્વાસ દ્વારા જો તો ખરો કે પરમાત્મામાં ને મારામાં કાંઈ ફેર નથી. આખો પરમાત્મા તારી પડખે ઊભો છે. તારે! બીજાની જરૂર શું છે? તું તારામાં ને પરમાત્મામાં ભેદ ન જાણ. આહાહા ! ગજબ વાત કરી છે ને!
દશાશ્રીમાળી કરોડપતિને ત્યાં નાતનું જમણ હોય તેમાં ગરીબ દશાશ્રીમાળી વાણિયો જમવા બેસી જાય કે અમે એક જ નાતના છીએ. પરંતુ બંગલાવાળો વાઘરી જમવા નહિ જઈ શકે. તેમ સિદ્ધ ભગવાનના મંડપમાં પેસી જનારા અમે આત્મા છીએ, દૂર આઘા ઊભા રહીએ એવા અમે નથી પણ એક નાતના, મંડપમાં અંદર પેસી જનારા આત્મા છીએ-એમ એકવાર તો નક્કી કર!
ભગવાન આત્મામાં ને સિદ્ધ પરમાત્મામાં કાંઈ ફેર નથી-એમ ફેર કાઢી નાખ તો સિદ્ધ થયા વિના નહીં રહે. માટે પરમાત્મામાં ને તારામાં કિંચિત્ ભેદ ન પાડ-એ જ મોક્ષનું સાધન છે. બીજું કોઈ મોક્ષનું સાધન છે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com